મોરબીમાં જન્માષ્ટમીએ એકધારા ભારે વરસાદથી ખેડૂતોની માઠી દશા થઈ ગઈ હતી. આ ભારે વરસાદથી ઉભા પાકનો સફાયો થઈ ગયો હતો. આ આઘાતની કળ વળે ત્યાર પહેલા પાછોતરા વરસાદે ખેડૂતોને દાઝ્યા ઉપર ડામ આપ્યો છે.મોરબીના દરેક ગામા છેલ્લા ત્રણ દિવસથી પડતા વરસાદથી ખેતીમાં ભારે ખાના ખરાબી થઈ છે. એકપણ ખેડૂત એવા નહિ બચ્યા હોય કે જેમને પાકનું નુકસાન ન થયું હોય. આ વખતે તો મેઘરાજાએ ભારે કરી છે. નવરાત્રી પછી હજુ પણ નોન સ્ટોપ વરસાદ ચાલુ જ રહ્યો છે. આથી મેઘરાજાના આ કહેરથી ખેડૂતો પાસે દિવાળીની ઉજવણી કરવા રાતી પાઇ પણ બચી નથી.
મોરબી તાલુકાના ખેડૂતોએ કહ્યું હતું કે, આ વખતે અતિવૃષ્ટિએ પાકનો સર્વનાશ નોતર્યો છે. એક પણ ગામ એવું નહિ હોય જ્યાં વરસાદથી પાકને નુકશાન ન થયું હોય, મોરબી જિલ્લાના ખેડૂતો મોટાભાગે કપાસનું વાવેતર કરે છે. ત્યારબાદ મગફળી અને અન્ય પાકોનું વાવેતર કરે છે જન્માષ્ટમીએ જ્યારે ભારે વરસાદ પડ્યો ત્યારે કપાસનું ધોવાણ થયું હતું હવે ત્રણ દિવસથી ફરી વરસાદ પડતાં થોડો ઘણો બચેલો પાકનો સોથ વળી ગયો છે. જેમાં રાજપર ગામના વિજયભાઈ સહિતના ખેડૂતોએ કહ્યું હતું કે ત્રણ દિવસથી વરસાદ પડતાં પાકનું ધોવાણ થઈ ગયું છે. એટલી હદે પાકનું ધોવાણ થયું છે કે, કપાસ સાવ પતી ગયો છે.બિયારણ ખાતર, દવા, મજૂરી ખર્ચ સહિતનો હજારોનો કરેલો ખર્ચો માથે પડ્યો છે. રાજપર ગામમાં 11 હજાર વિધામાં વાવેલો કપાસનો પાક બળી ગયો છે. કાઈ હાથમાં આવ્યું નથી. અત્યારે દિવાળી નજીક આવતા પાક લણવાનો સમય હોય છે. એના બદલે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીંનવાયી છે.કુદરતે આ વખતે એવી આફત આપી છે કે દિવાળી મનાવવા માટે પૈસા જ બચ્યા નથી. સરકાર હજુ મદદ કરતી નથી. ખેડૂતોને મોટું નુકસાન થયું હોય ત્યારે વળતર આપવાની વાત બાજુએ રહી કોઈ નેતા ખેડૂતોની વેદના સાંભળવા પણ આવ્યા નથી તેવો આક્ષેપ કર્યો છે.ચૂંટણી ટાણે મોટી મોટી વાતો કરતા નેતાઓ અત્યારે ક્યાંય દેખાતા ન હોય ખેડૂતોની વેદના કપરી બની છે.