નગરપાલિકાથી લઈ હાલ મનપાના રાજમાં પણ સામાકાંઠાના વિસ્તારોની ઘોર ઉપેક્ષા યથાવત
મોરબી : મોરબીના સામાકાંઠાના સોઓરડી પાછળ આવેલા વિસ્તારો હજુ પણ પ્રાથમિક સુવિધા મેળવવા માટે રીતસરનો જંગ લડી રહ્યા હોય એવી ગંભીર પરિસ્થિતિ છે. જેમાં સોઓરડી પાછળ આવેલા માળીયા વનાળિયા, રામદેવનગર, શક્તિનગર સોસાયટી, ઉમિયાનગર અને ભીલ વિસ્તાર, રામાપીરનો ઢોરો સહિતના વિસ્તારોમાં વિકાસ દીવો લઈને શોધવા જેવું પડે તેવી હાલત છે. કારણ કે નગરપાલિકાએ આ વિસ્તારોમાં ક્યારેય સુવિધાઓ આપવાની તસ્દી જ લીધી નથી. હવે મનપાના એક વર્ષથી વધુના સમયગાળામાં પણ નગરપાલિકા જેવી જ ઘોર ઉપેક્ષા યથાવત રહી હોવાથી રામદેવનગર, શક્તિનગર સોસાયટી, ઉમિયાનગર અને ભીલ વિસ્તાર, ભડિયાદનો મુખ્ય માર્ગની હાલત એકદમ ખરાબ હોય એટલે આ માર્ગો ચાલવા યોગ્ય રહ્યા ન હોય ઉપરથી ગટર સતત ઉભરાતી હોવાથી વાહનચાલકોને અહીંથી નીકળવું મુશ્કેલ બન્યું છે. એક તો માર્ગો ખરાબ હોય ઉપરથી ગટરના ગંદા પાણી સતત નદીની જેમ વહેતા હોવાથી આ શહેરી વિસ્તારો હોવા છતાં કોઈ અંતરિયાળ વિસ્તાર હોય એવી કલ્પના ન કરી શકાય તેવી ભયાનક પરિસ્થિતિ છે. આથી આ વિસ્તારના રહીશ વિનોદભાઈ મગનભાઈ પરમારે મહાનગરપાલિકાને રજુઆત કરી તેમના વિસ્તારોની સમસ્યા ન ઉકેલાય તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. પણ આની મંજૂરી મળી ન હોવાનું તેઓએ જણાવ્યું છે.
હવે વિકાસ સંભવ ખરો
મોરબી મનપાના અધિકારીઓ દરેક વિસ્તારમાં સફાઈ બાબતે ઓચિંતા ચેકિંગ કરતા હોય તેવી જ રીતે મહાનગરપાલિકાના ડે. કમિશનર સહિતનો મનપનો સ્ટાફ આ વિસ્તારોમા ઓચિંતો જ ત્રાટક્યો હતો. જેમાં સોઓરડી, ચામુંડાનગર, માળીયા વનાળિયા, રામદેવનગર, ઉમિયાનગર સહિતના વિસ્તારોમાં અધિકારીઓએ ખાસ તો સફાઈની કામગીરીનું સઘન નિરીક્ષણ કર્યું હતું અને સફાઈ કર્મીઓ તેમજ જવાબદાર સ્ટાફને સફાઈ અને ઘટતી સુવિધાઓ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. આ વિસ્તારોના લોકોના કહેવા મુજબ અત્યાર સુધીમાં ભાગ્યે જ કોઈ અધિકારીઓએ વિઝીટ લીધી હશે. આથી કદાચ કહ્યા વગર પહેલીવાર અધિકારી આવતા હવે આ વિસ્તારોનો વિકાસ સંભવ ખરો ?