મોરબી : વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગઇકાલે ટંકારામાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટંકારામાં આવેલ ડૉ. આંબેડકર ભવન ખાતેથી રેલીને શરૂ કરવામાં આવી હતી. ત્યારે જય બિરસા, જય ભીમ અને જય જોહારનાં ગગનચુંબી નાદ ટંકારામાં ગૂંજી ઉઠ્યા હતા
આ મહારેલીમાં આદિવાસી સમાજનાં લોકો પોતાની ભાતીગળ વેશભૂષામાં જોવાં મળ્યાં, તેમજ ભારતનાં રાષ્ટ્ર ધ્વજ તિરંગા સાથે નીકળેલી આ રેલી ટંકારા શહેરનાં મુખ્ય માર્ગોએ નીકળી હતી જેમાં આદિવાસી સમાજ સાથે દરેક સમાજનાં લોકો પણ જોડાયાં હતાં. ત્યારે પરંપરાગત તીર કમાન સાથે નીકળેલાં યુવાનો આ રેલીનું મુખ્ય આકર્ષણ રહ્યાં હતાં. અને બિરસા મુંડાનાં નાદ અને ટીમલી સોંગની સાથે આખું ટંકારા શહેર ઝુમી ઉઠ્યું હતું વિશ્વ આદિવાસી દિવસ એ પૂરા વિશ્વમાં મનાવવામાં આવતો દિવસ છે, પૂરા વિશ્વમાં ઉજવવામાં આવતા તહેવારો જૂજ છે જેમાં વિશ્વ આદિવાસી દિવસએ સૌથી મોખરે છે, કારણ કે આખા વિશ્વમાં આદિવાસી લોકો પથરાયેલાં છે જે જળ, જંગલ, જમીન સાથે જોડાયેલા છે અને વિશ્વના પર્યાવરણનું રક્ષણ કરી રહ્યાં હોઈ ભારતનાં મૂળ નિવાસી છે. આવાં મૂળનિવાસીઓની રેલી જે ટંકારા જેવાં બિન આદિવાસી વિસ્તારમાં નીકળે એ ખરેખર ગૌરવની વાત છે.
ટંકારામાં વર્ષોથી મજૂર આંદોલનને વેગ આપતાં તેમજ આદિવાસી મુવમેન્ટ સાથે જોડાયેલાં એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ જણાવે છે કે અમો છેલ્લાં પાંચ વર્ષથી આ રેલીનું આયોજન કરીએ છીએ પરંતુ આજ દિન સુધી કોઈ અણબનાવ બનેલ નથી. હાલમાં આ રેલીને જે સર્વ સમાજનો ખુબ સહકાર મળ્યો અન એ ટંકારા પાલિકાના સભ્યો તેમજ તાલુકા જીલ્લા સદસ્યોએ મહારેલીનાં આગેવાનોનું સન્માન કર્યું હતું. આ રેલીમાં હજારોની સંખ્યા લોકો હોવા છતાં ક્યાંય ટ્રાફિકને અડચણ વિના રેલી ટંકારાનાં મુખ્ય માર્ગો ઉપર ફરીને આંબેડકર ભવન ખાતે સમાપન કરવામાં આવી હતી. આ પ્રસંગે બહુજન કર્મશીલ નાગજીભાઈ ચૌહાણ તેમજ દિપકભાઈ ગોહેલ, લક્ષ્મણભાઈ વાણિયા, ડો. હરેશભાઈ પંડ્યા, રામશંકર વર્મા, મહેન્દ્રભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવાં એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, લલિત પરમાર, કાનાભાઈ ગોહેલ, અરવિંદભાઈ ગોહેલ, નવઘણભાઈ ગોહેલ, જેસાભાઈ ગોહેલ, ગીનું મહીડા, નરસિંગભાઈ સંગોળ, પરવતભાઈ સંગોળ, વિક્રમભાઈ વસુનીયા, ઈશ્વરભાઈ ડામોર વગેરેએ જહેમત ઉઠાવી હતી.