મોરબી: આજે જ્યારે ચોમેર વેલેન્ટાઈન ડેની ઉજવણી થઈ રહી છે, ત્યારે ઇન્દિરા નગર પ્રાથમિક શાળામાં પશ્ચિમી સંસ્કૃતિના પ્રવાહથી વિપરીત, ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને ઉજાગર કરતો એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓમાં આપણી પ્રાચીન પરંપરા અને આધ્યાત્મિકતા પ્રત્યે ગૌરવ જાગે તે હેતુથી શાળામાં *'ગાયત્રી હવન'*નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની રૂપરેખા વાત કરીએ તો કાર્યક્રમનો પ્રારંભ વેદમાતા ગાયત્રીના પાવન મંત્રોચ્ચાર સાથે થયો હતો. શાળાના શિક્ષકો અને ભૂલકાઓએ ભક્તિભાવ પૂર્વક યજ્ઞમાં આહુતિ આપી હતી. "ઈદમ ન મમ" ના ભાવ સાથે વિશ્વમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર શાળા સંકુલ દિવ્ય ચેતનાથી મહેકી ઉઠ્યું હતું.
સાથે સાથે માટીના શિવલિંગ અને સર્જનાત્મકતા સાથે પૂજન પણ કર્યું આવતીકાલે મહાશિવરાત્રીનું પાવન પર્વ હોવાથી, વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી ભક્તિભાવ સાથે માટીમાંથી બનાવેલા સુંદર શિવલિંગ લઈને આવ્યા હતા. નાનાં બાળકોના હાથની આ કલા અને શ્રદ્ધા જોઈને શિક્ષકો અભિભૂત થઈ ગયા હતા.
બાળકોનું સંસ્કાર સિંચન થયું: શિક્ષકો દ્વારા બાળકોને મહાશિવરાત્રીનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ભગવાન શિવના ત્યાગ, તપ અને કલ્યાણકારી ગુણોને જીવનમાં ઉતારવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયું જ્ઞાન આપવાનો નહીં, પરંતુ તેમનામાં ભારતીય સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન કરવાનો હતો. શાળાના આ નવતર પ્રયોગ અને સંસ્કારલક્ષી અભિગમની વાલીઓ અને સ્થાનિક સમાજ દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.