હળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં રહી ખેતમજૂરી કરતા મૂળ નર્મદા જિલ્લાના વતની પિતા પુત્ર અષાઢી બીજના પર્વ નિમિત્તે મંદિરે દર્શન કરવા માટે શક્તિનગર ગામે જતા હતા ત્યારે હળવદની સરા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા પિતાની નજર સામે માસૂમ પુત્રનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પિતાને ઇજાઓ પહોંચી હતી.
હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં ખેતમજૂરી કરતા મૂળ તીલકવાડા, નર્મદા જિલ્લાના વતની સંજયભાઈ ચંદુભાઈ ભીલ ઉ.38 પોતાના 12 વર્ષના પુત્રને સાથે લઈ ગત તા.16 જુલાઈના રોજ પોતાનું જીજે -23 - બીએચ - 6469 નંબરનું મોટર સાયકલ લઈ અષાઢી બીજ નિમિતે શક્તિનગર ખાતે નકલંક મંદિર ખાતે જતા હતા ત્યારે હળવદ સરા ચોકડીએ ટ્રક નંબર જીજે - 12 - બીઝેડ - 9082 નંબર વાળાએ બાઇકને હડફેટે લઈ ટક્કર મારતા બાઈક પાછળ બેઠેલા તેમના પુત્ર કલ્પેશને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ હળવદ બાદ મોરબી સારવારમાં ખસેડવામાં આવતા પુત્રનું મોત નીપજ્યું હતું.જ્યારે સંજયભાઈને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.