મોરબી : મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં વર્ષોથી લોકોને સૌથી વધુ પાન માવાનું વ્યસન છે. તેમાંય હવે તો માવાનું ચલણ એટલી હદે વધ્યું છે કે, ઘણા લોકોને આ માવા ખાવાનું વ્યસન છે. જો કે મોરબી સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા એક દાયકામાં માવા ખાવાથી લોકોને સૌથી વધુ મોઢાના કેન્સર થયાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. કેન્સર જેવી જીવલેણ બીમારી થતી હોવા છતાં બંધાણીઓને આ વ્યસનની કુટેવ છુંટતી નથી. આ વ્યસનના બંધાણીઓ ઘટતા ન હોય ઉપરથી બાળકો અને મહિલાઓ પણ વધતા જતા હોવાથી આ વ્યસનની સ્થિતિ ચિંતાજનક થઈ ગઈ છે. આવા સંજોગોમાં હાલ તમાકુયુક્ત માવો રૂ. 20 મળે છે. તે હવે મોંઘો થવાની સંભાવના છે. જેમાં આજે એટલે તા.31/5ના રોજ રવિવારે મોરબીના પ્રસિદ્ધ શંકર આશ્રમ ખાતે સાંજે 5 કલાકે મોરબીના તમામ રિટેલ પાનમાવાના વેપારીઓની એક અગત્યની મીટીંગનું આયોજન એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે. પાન-માવાના વેચાણમાં ભાવ વધારો કરવો કે નહીં ? અને ભાવો વધારવા તો કેટલા વધારવા તેનો યોગ્ય વિચાર વિમર્શ કરીને સર્વાનુમતે ભાવવધારો જાહેર કરવામાં આવશે. ત્યારે સવાલ એ છે કે માવામાં આ ભાવવધારા પછી બંધાણીઓની આ વ્યસનની કુટેવ છૂટશે કે નહીં ? તેવો સવાલ ઉઠ્યો છે.