પદાધિકારીઓએ 2 દિવસ પહેલા મુલાકાત લઈ સ્થાનિકોની મુશ્કેલીઓ જાણી તત્કાલ સફાઈ માટે સૂચના આપી
મોરબી : મોરબીના વોર્ડ નંબર 1 માં નવલખી રોડ પર આવેલ મારુતિ નગર, કૃષ્ણ નગર અને ન્યુ ગાયત્રી નગર પાસે આવેલા વોકળાની સાફસફાઈની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન વોકળામાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક લોકોને પડતી હાલાકીને નિવારવા માટે આ ત્વરિત પગલું લેવામાં આવ્યું છે.
મોરબીના મેયર સહિતના પદાધિકારીઓએ બે દિવસ પહેલા આ વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ દામજીભાઈ પડસુબિયા, શાસક પક્ષના નેતા અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, દંડક જયેશભાઈ દેસાઈ, વોર્ડ નંબર-1 ના કોર્પોરેટર જયદીપભાઈ પ્રશાંતભાઈ મહેતા અને રમાબેન પરેશભાઈ રૂપાલા, વોર્ડ નંબર-7 ના કોર્પોરેટર ભાવિનભાઈ ધેલાણી, મમતાબેન ઠાક્કર અને જલ્પાબેન સોનગ્રા તથા સોસાયટીના આગેવાનો પ્રશાંતભાઈ મહેતા, વિરલભાઈ દોશી અને ભરતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ સ્થળ મુલાકાત દરમિયાન સ્થાનિક લોકો અને આગેવાનોએ વોકળાના કારણે થતી મુશ્કેલીઓ અંગે પદાધિકારીઓને જાણકારી આપી હતી. ચોમાસા દરમિયાન સ્થાનિક લોકો માટે પાણી ભરાઈ જવાની સમસ્યા ના સર્જાય તે માટે તત્કાળ ધોરણે વોકળાની સાફસફાઈ કરવા રજૂઆત કરવામાં આવી હતી. લોકોની આ રજૂઆતના અનુસંધાને આજથી જ સફાઈ કામગીરી સઘન રીતે શરૂ કરી દેવામાં આવી છે.