માનવ જીવનમાં સૌથી વધુ અંગદાનને મહત્વ આપવામાં આવ્યું હોય અને હાલના સંજોગોમાં ઘણા લોકો કિડની સહિતના અંગોથી પીડાતા હોય એટલે સરકાર, સંસ્થાઓ સહિતઓ આવા લોકોની જિંદગી બચી શકે એ માટે મૃત્યુ પામેલી જે તે વ્યક્તિને અંગદાન કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોય તેની વચ્ચે કચ્છના એક પરિવારે પોતાના વહાલસોયા બાળકને ગુમાવ્યાનો આઘાતને જીરવી લઈ બીજાની જંદગી બચી શકે એ માટે પોતાના બ્રેઇન ડેડ બાળકના અંગોને દાન કરવાનો સરાહનીય નિર્ણય લીધો હતો. કચ્છનો આ બાળક મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા બાદ તે બ્રેઇન ડેડ થતા પરિવારજનોની સમતીથી બાળકના પાંચ અંગોનું દાન કરવામાં આવ્યું હતું. આ રીતે મોરબીમાં પ્રથમ વખત અંગદાન થયું હતું.
મૂળ કચ્છના ભુજ તાલુકાના જીકડી ગામના ખેડૂત રમેશભાઈ ખાસાના વ્હાલસોયા પુત્ર શિવમ ઉ.15ને મગજની બીમારીના કારણે આઠ દિવસ પહેલા મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેઓને ડૉ. મિલન મકવાણા , ડૉ. દર્શન પરમાર, ડૉ. અમિત ડોડીયા, ડૉ. નિમેશ જૈન, ડૉ. ઉત્તમ પેઢડિયા, ડૉ. વિજય મકવાણા સહિતના ડોકટરોની ટીમ દ્વારા અદ્યતન સારવાર બાદ ડૉ મિલન મકવાણા ( ન્યુરો સર્જન) દ્વારા બ્રેનડેડ જાહેર કરાયા હતા. બ્રેઇનડેડ શિવમ ખાસાના પરિવારજનોને ડૉ. દર્શન પરમાર, ડૉ મિલન મકવાણા, ડૉ અમિત ડોડીયાએ અંગોનું દાન કરવા માટેની માહિતી સમજાવી હતી અને સેવાભાવી એવા આહીર પરિવારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દીકરા શિવમને અનેક જીવમાં જીવતો રાખવા માટે સહમતી આપી હતી પરિવારના સભ્યો રમેશભાઈ ગોપાલભાઈ ખાસા (પિતા), કંકુબેન રમેશભાઈ ખાસા (માતા), રીનાબેન (બહેન), રિતેશભાઈ(મોટાભાઈ) , માવજીભાઈ અને હરિભાઈ (મોટા બાપા) તેમજ સુરેશભાઈ કારાભાઈ ખાસા, માવજીભાઈ કરશનભાઈ આહીર, નારાણભાઈ શિવજીભાઈ કોવાડિયા, માવજીભાઈ પુનાભાઈ ખાસા, હરિ કાનજીભાઈ ખાસા, બાબુભાઈ કાનજીભાઈ ગાગલ દ્વારા શિવમના અંગદાન માટે સહમતી આપી હતી. આથી મોરબી જિલ્લાની કોઈ હોસ્પિટલમાં પ્રથમ કહી શકાય તેવું અંગદાન શક્ય બન્યું છે અને અંગદાનના પ્રથમ કિસ્સામાં શિવમભાઈની બન્ને કિડનીનું દાન SOTTO ખાતેથી ફાળવવામાં આવેલ છે અને ફેફસાં તથા લીવરનું દાન KD હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે. અંગોનું રીટ્રાઇવલ માટે KD હોસ્પિટલના નિષ્ણાંત તબીબો ડૉ.અમિત શાહ , ડૉ. હાર્દિક યાદવ , ડૉ. મહેશ બી એન , ડૉ. રીતેશ પટેલ સહિત ટીમના ડોકટરોએ જહેમત ઉઠાવી હતી જેનું સંકલન નીખીલભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું દાન થયેલ અંગો સરળતાથી અમદાવાદ પહોંચી શકે તે માટે મોરબી પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના થી પી.આઇ વી.એમ.લગારિયાની ટીમ દ્વારા વહેલી સવારથી ગ્રીન કોરીડોર મારફતે અમદાવાદ પહોચાડવામાં આવેલ છે.