સ્વચ્છ મોરબી - સુંદર મોરબી ના સંકલ્પ સાથે પદાધિકારીઓ અને અધિકારીઓએ જાતે જ કરી સફાઈ
મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા "સ્વચ્છ મોરબી - સુંદર મોરબી"ના સંકલ્પ સાથે શહેરમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક વિશેષ શ્રમદાન કાર્યક્રમનું નવલખી ફાટક વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રી કાંતિલાલ અમૃતિયા, મેયર, ડેપ્યુટી મેયર, અન્ય પદાધિકારીઓ તથા કલેકટરે ખાસ ઉપસ્થિત રહી શ્રમદાન કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, આ અંતર્ગત મંદિરોની સફાઈ, પ્લાસ્ટિક મુક્ત અભિયાન અને ગટર સફાઈ જેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ ઝુંબેશમાં કલેક્ટર, કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય આગેવાનો સાથે મળીને મોરબી શહેર અને જિલ્લાના ભલા માટે કામ કરી રહ્યા છે. તેમણે તમામ જનપ્રતિનિધિઓને આવનારા દિવસોમાં પૂરી નિષ્ઠાથી પોતાની જવાબદારી નિભાવવા આહ્વાન કર્યું હતું, જેથી પ્રજાને વિશ્વાસ રહે કે તેમણે યોગ્ય પ્રતિનિધિઓની પસંદગી કરી છે.
મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા તા.8 થી 20 સુધી વિકાસલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. મંત્રી કાંતિલાલ અમૃતિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ સ્વચ્છતા અભિયાનમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કલેક્ટરે મોરબીના તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના વિસ્તારમાં સ્વચ્છતા બાબતે પૂરતું ધ્યાન આપે. આ કાર્યક્રમ મોરબી જિલ્લાના તમામ શહેરો અને ગામડાઓમાં યોજાઈ રહ્યો છે, જેમાં લોકોને મોટી સંખ્યામાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.