અયોધ્યામાં ભગવાન શ્રીરામને બિરાજમાન કરવાના ઐતિહાસિક પ્રસંગને લઈને સમગ્ર દેશ સાથે મોરબીમાં પણ રામ ભક્તિનું પ્રચડ પુર આવ્યું હતું. ત્યારે એક નવયુગલે પહેલા ભગવાન રામની આરતી પછી જ સપ્તપદીના સાત ફેરાનો સંકલ્પ લઈ લગ્નની શરૂઆતમાં જ આરતી થકી ભગવાન રામની પૂજા કર્યા બાદ લગ્નગ્રંથિથી જોડાયા હતા.
મોરબીમાં રહેતા કમલેશભાઈ સામજીભાઈ કૈલાના પુત્ર મૌલિક સાથે વિનોદભાઈ ભગવાનજીભાઈ વસિયાણીની પુત્રી ધારાના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. પણ આ યુગલે પહેલા રામ પ્રત્યે અનેરી ભક્તિ વ્યક્ત કર્યા બાદ જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. એ મુજબ આ વરઘોડિયાએ સજોડે લગ્ન મંડપમાં જ ભગવાન શ્રીરામની મહાઆરતી કરી હતી અને પછી જ લગ્નની તમામ વિધિઓ કરવામાં આવી હતી. આ યુગલે પહેલા રામ પ્રત્યે અંતરના ઊંડાણથી આરતી કરી ભગવાન પાસેથી પોતાના સુખમય દામ્પત્ય જીવનના આર્શીવાદ મેળવી પ્રભુતામાં પગલાં માંડયા હતા.