Tuesday - May 05, 2026

માળીયાના હરિપર નજીક નદીમાં સગીરા અને યુવાને સજોડે ઝંપલાવી આપઘાત કર્યો

માળીયાના હરિપર નજીક નદીમાં સગીરા અને યુવાને સજોડે ઝંપલાવી આપઘાત કર્યો

માળીયા મિયાણા તાલુકાના હરિપર નજીક મચ્છુ નદીના પુલ ઉપરથી સગીર વયની પ્રેમિકા અને પ્રેમી યુવકે સજોડે ઝંપલાવી દેતા બન્નેના કરુણ મોત નિપજ્યા હતા લગ્ન નહિ થાય અને પોલીસ ફરિયાદ થઈ હોય પોલીસ પકડશે તેવા ડરથી મચ્છુ નદીમાં કૂદી જતા મહીસાગર જિલ્લાના વતની પ્રેમી અને પ્રેમીકાએ નદીમાં કૂદીને જીવ દીધો હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

માળીયા મિયાણા તાલુકાના હરિપર નજીકથી પસાર થતી મચ્છુ નદીના પુલ ઉપરથી કૂદી સુનીલભાઈ ગોવિંદભાઈ ઠાકોર ઉ.24 રહે.ધોડબાઈના મુવાડા ઓથવડા, તા-બાલાસીનોર જી-મહીસાગર અને  17 વર્ષની સગીરાએ ગત તા.18ના રોજ આપઘાત કરી લેતા બનાવ અંગે મૃતક સુનિલના પિતા ગોવિંદભાઈ પ્રભાતભાઈ ઠાકોર, રહે.હાલ.મોરબી રાજલ સનમાઈકા કંપનીના ક્વાર્ટરમા, મુળ રહે.ધોડબાઈના મુવાડા ઓથવડા વાળાએ માળીયા પોલીસને જાણ કરી હતી. સુનિલના પિતા ગોવિંદભાઈએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, સુનીલને પોતાના ગામડે રહેતા કાનાભાઈ ઠાકોરની દીકરી ગંગા ઉર્ફે શિલ્પા સાથે પ્રેમ સબંધ હોય અને ગંગા ઉર્ફે શિલ્પા સગીર વયની હોય જે બાબત સુનીલ જાણતો ન હોય જેથી ગંગા ઉર્ફે શિલ્પાને ભગાડી અપહરણ કરી જતા સુનીલ વિરુધ્ધ બાલાસિનોર પોલીસ સ્ટેશનમા ગુન્હો દાખલ થયેલ હોવાની જાણ થતા તેને મનોમન લાગી આવતા બન્નેએ માળીયા-કચ્છ હાઈવે રોડ ઉપર હરીપર ગામ નજીક મચ્છુ નદીના પુલ પાસે પોતાનુ મોટરસાઈકલ રેઢુ મુકી પોતાની મેળે મચ્છુ નદીમા કુદકો મારી દેતા નદીના પાણીમા ડુબી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હાલમાં માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.