ગુજરાત રાજ્યના તમામ સર્કિટ હાઉસમાં વકીલો માટે સરકારી દરે રહેવાની વ્યવસ્થા કરવામાં તેવી રજૂઆત
મોરબી: તા.10 ઑગસ્ટ રાજ્યભરના વકીલોને કોર્ટના કામ અર્થે જિલ્લા બહાર જવું પડતું હોય ત્યારે રહેવા-ઉતારાની મુશ્કેલી ન સતાવે તે માટે મોરબીના યુવા વકીલો એડવોકેટ મિતેષ ડી. દવે અને એડવોકેટ દર્શન ડી. દવે દ્વારા આજે ગાંધીનગર ખાતે મહત્વની રજૂઆત કરવામાં આવી હતી
જેમાં મોરબીના યુવા વકીલોએ રાજ્યના માનનીય કાયદા મંત્રી કૌશિકભાઇ વેકરિયા અને ગૃહ રાજ્યમંત્રી તથા પોલીસ વિભાગના વડા હર્ષભાઇ સંઘવી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી,
આ મુલાકાત દરમિયાન વકીલો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ એક મહત્વનો પ્રશ્ન મૂકવામાં આવ્યો કે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેલ સરકારી સર્કિટ હાઉસમાં વકીલોને પણ સરકારી દરે રહેવાની સુવિધા આપવામાં આવે.
હાલમાં સર્કિટ હાઉસની સુવિધા મુખ્યત્વે સરકારી અધિકારીઓ માટે જ અનામત હોય છે. જેના કારણે કોર્ટ કામ માટે બહાર જતા વકીલોને મોંઘા હોટલમાં રોકાવું પડે છે. જો સરકાર આ નીતિ અપનાવે તો રાજ્યભરના હજારો વકીલોને મોટી રાહત મળશે અને ન્યાયિક કાર્ય પણ વધુ સુગમ બનશે.
માનનીય મંત્રીઓએ વકીલોની આ રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી અને આ બાબતે સકારાત્મક વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી.
આ તકે મંત્રીઓએ યુવા વકીલોના કાયદાકીય જાગૃતિ અને સામાજિક પ્રશ્નો પ્રત્યેની સજાગતા બદલ બિરદાવ્યા હતા.
આ મુલાકાત દરમિયાન બંને મંત્રીઓને સ્મૃતિ ચિન્હ અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.