વાડીમાં પશુઓ માટે રાખેલ નિરણ સળગાવી દેનાર શખ્સ સીસીટીવીમાં કેદ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભોજપરા ગામની સીમમાં ખેડુતની વાડીએ પશુઓ માટે રાખેલ નિરણ, કડબ અને મગફળીનો પાલો વિઘ્ન સંતોષી શખ્સે સળગાવી નાખી 65થી 70 હજારનું નુકશાન કરતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર ઘટના વાડીમાં રાખેલ સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે વાડી ધરાવતા ફરિયાદી એઝાઝએહમદ ઇસ્માઇલભાઈ માથકિયા ઉ.34 નામના યુવાને આરોપી રામદેવ ઉર્ફે મેહુલ લાભભાઈ સારલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીએ ફરિયાદીની વાડીમાં રાખેલ મગફળીનો પાલો તેમજ નિરણ - કડબ સળગાવી દઈ 65થી 70 હજારનું નુકશાન કર્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હોય આરોપીએ જ આ કૃત્ય કર્યું હોય બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.