મોરબીમાં નિવૃત્તિ બાદ પણ શિક્ષણ અને સમાજ સેવામાં પ્રવૃત્ત રહેલા 50 જેટલા ગુરુજનોનું અદકેરું સન્માન
મોરબી: એક સમય એવો હતો જ્યારે શિક્ષણ માટે આજના જેવી સુવિધાઓ કે આધુનિક સાધનો ઉપલબ્ધ ન હતા અને શિક્ષકોને ઓછા પગારમાં ફરજ બજાવવી પડતી હતી. તેમ છતાં પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને નૈતિકતાને જાળવી રાખી વિદ્યાર્થીઓના ભણતર, ગણતર, ઘડતર અને ચારિત્ર્ય નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનારી નિવૃત્ત શિક્ષક પેઢીના અનુભવો મોરબીના ઉમિયા નિવૃત્ત શિક્ષક મંડળના સ્નેહમિલનમાં રજૂ થયા હતા. ત્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરનાર ગુરુજનોની મુઠી ઉંચેરી ભાવવંદના કરી હતી.
રવાપર ચોકડી પાસે આવેલા ઉમા હોલ ખાતે શિક્ષકદિનના બીજા દિવસે યોજાયેલા સ્નેહમિલનમાં મોરબીના નિવૃત્ત શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉમિયા આરોગ્ય સમિતિના ડો. ભાલોડિયાએ નિવૃત્ત જીવનમાં આરોગ્ય જાળવવા માટે નિયમિત યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવા તેમજ સમયાંતરે આરોગ્ય તપાસ કરાવતા રહેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ નિવૃત્ત જીવનમાં પણ કોઈને કોઈ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહેવાની હિમાયત કરી હતી.
નિવૃત્ત પ્રાધ્યાપક ડો. ભાવેશભાઈ જેતપરિયાએ પોતાના લખેલા પુસ્તક અંગે તેમજ શિક્ષક તરીકેની ભૂમિકા અંગે વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં નિવૃત્તિ બાદ પણ પ્રવૃત્ત રહેલા તથા શિક્ષણ અને સમાજસેવામાં યોગદાન આપનાર આશરે 50 જેટલા વ્યક્તિ વિશેષનું સન્માન કરવામાં આવ્યું હતું.સન્માનિતોમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક મગનભાઈ જાકાસણીયા, ‘રામજીદાદાની ચેનલ’ દ્વારા હરતી-ફરતી પ્રયોગશાળાના માધ્યમથી શિક્ષણ સાથે જોડાયેલા રામજીભાઈ જાકાસણીયા, ચતુરભાઈ કુંડારિયા, મનજીભાઈ કોરડીયા, નિવૃત્ત કે.ની. વહીવટ સી.સી. કાવર, પૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ચંદુભાઈ દલસાણીયા, કુષ્ઠયજ્ઞ સેવા સાથે જોડાયેલા તળસીભાઈ મારવણીયા, દેવશીભાઈ પાડલિયા, મણિલાલ સરડવા, પૂર્વ શિક્ષક સંગઠન પ્રમુખ દિનેશભાઈ વડસોલા, બેસ્ટ બીઆરસી એવોર્ડ મેળવનાર દિનેશભાઈ ભેંસદડિયા, રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક દિનેશભાઈ ભેંસદડિયા, શૈલેષભાઈ કાલરીયા, હર્ષદભાઈ મારવણીયા, ભુદરભાઈ બરાસરા, કે.વી. આદ્રોજા અને જીવરાજબાપા ફૂલતરીયાનો સમાવેશ થાય છે.
દિનેશભાઈ વડસોલાએ જણાવ્યું હતું કે અગાઉની શિક્ષક પેઢીએ સાધનોના અભાવ અને ઓછા પગાર વચ્ચે પણ શિક્ષણની જવાબદારી નૈતિકતાથી નિભાવી હતી. વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપવાને બદલે તેમના ભણતર, ગણતર, ઘડતર અને ચારિત્ર્ય નિર્માણ પર ભાર મૂક્યો હતો. તેમના મતે, તે સમયની શિક્ષક પેઢીએ પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા સાથે વિદ્યાર્થીઓના ભવિષ્યના ઘડતરમાં યોગદાન આપ્યું હતું.