મોરબી/અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા શ્રમ કાયદાઓ અને અન્ય પડતર માંગણીઓને લઈને દેશભરના બેંકિંગ સંગઠનો અને ટ્રેડ યુનિયનો દ્વારા અપાયેલા 'ભારત બંધ'ના એલાનની આજે વ્યાપક અસર જોવા મળી છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોયીઝ એસોસિયેશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિયેશન (AIBOA) અને બેંક એમ્પ્લોયીઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) સહિત 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો આ હડતાળમાં જોડાયા છે.
ગુજરાત અને મોરબીમાં હડતાળની અસર:
*નાણાકીય અસર:
આ હડતાળને પગલે સમગ્ર રાજ્યમાં બેંકિંગ કામગીરી ખોરવાઈ ગઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ, ગુજરાતમાં ક્લિયરન્સ અને અન્ય કામગીરી અટકી પડતાં અંદાજે ₹15,000 કરોડના બેંકિંગ ટ્રાન્ઝેક્શનને અસર પહોંચી છે.
*મોરબીમાં દેખાવો:
મોરબી ખાતે બેંકિંગ સંગઠનો દ્વારા રવાપર ચોકડી સ્થિત બેંક ઓફ બરોડાની સામે એકઠા થઈને સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
*હડતાળના મુખ્ય કારણો:
(1) 4 નવા લેબર કોડનો વિરોધ: કેન્દ્ર સરકાર જૂના 29 શ્રમ કાયદાઓને રદ કરીને 4 નવા લેબર કોડ લાવી રહી છે. યુનિયનોનો દાવો છે કે આનાથી કર્મચારીઓના અધિકારો ઘટશે અને ટ્રેડ યુનિયનનું રજિસ્ટ્રેશન મુશ્કેલ બનશે.
(2) 'હાયર એન્ડ ફાયર' નીતિ: યુનિયનોના મતે નવા કાયદા માલિકોને જ્યારે ઈચ્છે ત્યારે કર્મચારીને નોકરી પર રાખવાની અને છૂટા કરવાની ('હાયર એન્ડ ફાયર') છૂટ આપશે, જે કર્મચારીઓના હિતમાં નથી.
(3) 5-ડે વર્ક વીક (5 દિવસ કામ)ની માંગ: હાલમાં બેંકોમાં બીજા અને ચોથા શનિવારે રજા હોય છે. વધતા કામના બોજ અને 'વર્ક-લાઇફ બેલેન્સ' જાળવવા માટે કર્મચારીઓ દર શનિવારે રજા સાથે અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાની માંગ કરી રહ્યા છે.