મોરબી જિલ્લો જ નહીં પણ રાજ્યભરમાં સૌથી વધુ અવિકસિત ગણાતા માળીયા તાલુકાનું કેવી રીતે આખું ગામ ભાંગી પડ્યું તેની દર્દનાક વાસ્તવિકતા સામે આવી છે. જો કે સરકાર અને તંત્ર તો આ ગ્રામીણ જીવનને ધબકતું રાખવાની ફરજમાં ઉણુ ઉર્ત્યું છે. પણ આ ગામે જેમને સંસ્કારો અને સદગુણો તેમજ સારું પાયાનું શિક્ષણ આપ્યું એ નેતા એટલે હાલના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા પણ પોતાના વતન માળીયાના ચમનપર ગામને સિંચાઈની સુવિધા અપાવી ન શકતા આ ગામ આખું ખાલી થઈ ગયું છે. જો કે હાલના સરપંચએ માળીયા આખા તાલુકાનો સિંચાઈનો પ્રશ્ન હોય અને પૂર્વ મંત્રી આ પ્રશ્ન હલ કરાવે એ પૂર્વ જ આ ગામ આખું ખાલી થઈ ગયું હોવાનો બચાવ કર્યો છે.
માળીયા તાલુકાના ચમનપર ગામના સરપંચ શીતલબેન જયેશભાઇ ચારોલા કહે છે કે, હાલ માત્ર શહેરમાં જેને પરિવાર સાથે ફાવતું ન હોય એવા 70થી 80 વર્ષના 80થી વધુ વયોવૃદ્ધ બચ્યા છે. અત્યારે તેમનું ગામ હર્યુભર્યું નથી. તેનું તેમને પણ દુઃખ છે. જો કે એક સમયે એટલે આઝાદીથી 1980ના સમયગાળા દરમિયાન ગામની તમામ ખેતી હરિભરી હતી. તેઓ પરણીને આવ્યા બાદ આજ સુધીમાં એકેય વખત પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ જ નથી. એટલે આઝાદીથી આ ગામ સમરસ થાય છે. જેને કારણે તેમને એટલે મહિલા સરપંચ તરીકે તાજેતરમાં પીએમ મોદીના હસ્તે અમદાવાદ ખાતે એવોર્ડ મળ્યો છે. જો કે ગામમાં દરેક પ્રકારની સુવિધાઓ છે. પણ એ શું કામની ? કારણ કે એ સુવિધાઓનો ઉપયોગ કરવા માટે કોઈ તો જોઈને. પણ ગામ કોઈ નથી. માત્ર અમુક વૃદ્ધો જ બચ્યા છે. આ ગામ છેલ્લા બે દાયકાથી ઉત્તરોતર ભાંગી રહ્યું હતું. જેનાથી આ ગામના નેતા એટલે બ્રિજેશ મેરજા અજાણ ન હતા. પણ એમની રજુઆત સાકાર થાય એ પહેલાં જ ગામ આખું ખાલી થઈ ચૂક્યું હતું. સરકારી ચોપડે 233 લોકોનું મતદાન દર્શાવે છે અને જ્યારે જ્યારે પણ મતદાન થાય ત્યારે મોરબી કે રાજકોટ અને અમદાવાદના રહેતા તમામ લોકો તેમજ આ નેતા પણ ગામે આવીને પોતાની મતદાનની.પવિત્ર ફરજ નિભાવે છે.
મોટાભાગના લોકોનું મોરબીમાં સ્થળાંતર
ચમનપર ગામના સરપંચના કહેવા મુજબ સિંચાઈની યોગ્ય વ્યવસ્થા ન હોવા છતાં ખેતીની ફળદ્રુપતા ઘટી નથી. પણ હજુ પ્રયાસો કરાય તો જમીન ખેડવાણ લાયક બનાવી શકાય. પાટીદાર સમાજનું વર્ચસ્વ ધરાવતા આ ગામમાં 90ના દશક પહેલા 500 જેટલી વસ્તી હતી. પણ લગ્ન, શિક્ષણ, આરોગ્ય અને નોકરી ધંધા માટે ચમનપરના મોટાભાગના લોકો મોરબીમાં સ્થાયી થઈને સીરામીકમાં લાખોની કમાણી કરે છે.
શાળા, આંગણવાડી પણ રદ કરાઈ
ચમનપરના 40 પરિવાર રાજકોટ, અમદાવાદમાં 20 પરિવાર, મોરબીમાં 80થી પણ વધુ પરિવારો સ્થાયી થયા છે. ગામમાં એકપણ બાળક રહેતું ન હોવાથી આંગણવાડી અને સ્કૂલ શુ કામની ? ઉપરાંત રોડ રસ્તા, પાણી, લાઈટ, ગટર, ઘરેઘરે ટોયલેટ સહિતની સુવિધાઓ લોકોના અભાવે મુરજાય ગઈ છે.