મોરબી જિલ્લામાં ગઈકાલે ગળેફાંસો, ડૂબી જવાથી મોત સહિત અપમૃત્યુના 4 બનાવ નોંધાયા હતા. જેમાં મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં આવેલ વરિયાનગરમા રહેતા ભરતભાઇ ચંદુભાઈ સેલાણીયા ઉ.વ 52 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નિપજતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી – કંડલા બાયપાસ ઉપર લક્ષ્મીનગર ગામથી બેલા ગામ તરફ જવાના રોડ ઉપર દિનેશભાઇ નામના ખેડૂતના ખેતરમાંથી મૂળ કર્ણાટકના રહેવાસી શ્રીનાથ સુરેશભાઈ ખોટ ઉ.26 નામના યુવાનનો કોહવાયેલ હાલતમા મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે
વાંકાનેર તાલુકાના ઢુંવા માટેલ રોડ ઉપર આવેલ સુઝોરા સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી ભીમાભાઈ ચૌહાણ નામના શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે કારખાનેદારે વાકાનેર તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એલસેરા સિરામિક ફેકટરી પાસેથી પસાર થતી કેનાલમા ડૂબી જતાં દેવેન્દ્ર પ્રીતમલાલ અહિરવાલ ઉ.24 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.