એક મહિનાથી પાણીના વેડફાટથી સ્થાનિક રહીશો લાલઘૂમ
મોરબી : માળીયા મીયાણાના સંધવાણી વાસ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી પીવાના પાણીનો મુખ્ય નળ (પાઈપલાઈન) તૂટી ગયેલ હાલતમાં છે. આ બાબતે સ્થાનિક રહિશો દ્વારા નગરપાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી.
એક મહિનાથી હજારો લિટર પીવાનું શુદ્ધ પાણી રસ્તા પર વહી રહ્યું છે, જેના કારણે એકતરફ પાણીની અછત સર્જાય છે અને બીજી તરફ કિંમતી જળનો બગાડ થઈ રહ્યો છે.
ગંદકી અને મચ્છરોનો ત્રાસ: સતત પાણી ભરાઈ રહેવાને કારણે વિસ્તારમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે, જેનાથી મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, "અમે અનેકવાર નગરપાલિકામાં અરજી આપી છે, પરંતુ સત્તાધીશો જાણે ઘોર નિદ્રામાં હોય તેમ કોઈ જ કાર્યવાહી કરતા નથી." સંધવાણી વાસના રહિશોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો આગામી ૨-૩ દિવસમાં આ નળનું રિપેરિંગ કામ કરવામાં નહીં આવે, તો સ્થાનિકો દ્વારા નગરપાલિકા કચેરીએ જઈને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તેમ અસરફ હનીફ સંધવાણીએ જણાવ્યું છે.