વાંકાનેરના સમથેરવા અને મકતાપર એમ બે ગામની સંયુક્ત ગ્રામ પંચાયતમાં વર્ષોથી સિંચાઈની સુવિધા નથી. આ બન્ને ગામ ખેતી ઉપર નિર્ભર હોવા છતાં કેનાલમાંથી પાણી આપવામાં આવતું નથી. આથી આ બન્ને ગામની ખેતી ભગવાન ભરોસે છે. વરસાદ આધારિત ખેતીમાં વરસાદ સારો થાય તો ખેડૂતોને ઉપજ સારી આવે છે અને વરસાદ ન થાય ત્યારે માઠી હાલત થાય છે.
વાંકાનેર તાલુકાના સમથેરવા મકતાપર એમ બે ગામોની એક સંયુક્ત ગ્રામ પંચાયતના સરપંચ વિજયભાઈ બચુભાઈ ઉકેડીયાએ જણાવ્યું હતું કે, તેમના આ બન્ને ગામ રાજાશાહી વખતના જુના ગામ હોય બંને ગામની 1200 જેટલી વસ્તી ખેતી પર નિર્ભર હોય છતાં સિંચાઇની સુવિધા ન હોવાથી ગામની ખેતી વરસાદ આધારિત છે. વરસાદ થાય ત્યારે એક પાક લઈ શકાય છે. મક્તાપરમાં આરોગ્ય કેન્દ્ર હોય પણ બીજા ગામ સમથેરવામાં આ સુવિધા ન હોવાથી ગામલોકોને બીમારીમાંથી સાજા થવા માટે 12 કિમિ દૂર જવુ પડે છે. સમથેરવામાં ધો.1થી 10ની શાળા અને મક્તાપરમાં ધો.1થી 8 સુધીની સ્કૂલ તેમજ આ બન્ને ગામોમાં રસ્તા,ભૂગર્ભ ગટર, આંગણવાડીની સુવિધાઓ છે. કચરાના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી. જો કે બન્ને ગામને આમ તો પીવાના પાણીનું મોટું સુખ છે. પણ સમથેરવા ગામે પાણીનો ટાંકો બનાવવાની માંગ છે. સમથેરવાથી નાગલપર, લીંબુડા, માણેકવાડા, ખેતરડીને જોડતા માર્ગો ગાડામાર્ગ છે. જ્યારે બીજા ગામ એટલે મક્તાપર ગામના જામસર અને વજેસર ગામને જોડતા માર્ગો કાચા હોય તેને પાકા બનાવવાની માંગ છે.