મોરબી પંથક અને ઉપરવાસમાં ભારે વરસાદથી ચારેકોર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. મચ્છુ નદી બે કાંઠે થતા તેમજ ડેમના 30 દરવાજા ખોલતા હેઠવાસના ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઠેરઠેર કેડ સમાણા તો ક્યાંક ઢીચણ સમાણા પાણી ભરાયા હતા. જેથી મોરબીના અનેક ગ્રામ્ય વિસ્તારોના રસ્તા બંધ થઈ ગયા હતા. જેમાં મોરબીના વાંકડા-ખરેડા, ટંકારાના લતીપર-સાવડી, માળીયાના પીપળીયા-હજનાળી, મોરબીથી રફાળેશ્વર, આમરણ રોડ, નેશનલ હાઈવેને જોડતો ખીરાઈ ગામના માર્ગ બંધ કરવા પડ્યા હતા. જ્યારે નાગલપર-પંચાસર બંધ હતો પણ હવે ખુલી ગયો છે. તેમજ મોરબી રાજકોટ હાઇવે પણ ચાલુ હતા. જો કે વોકળા, તળાવ અને નદી નાળા બે કાંઠે થતા તેમના પરના માર્ગો જેવા કે પીપળીયા ચાર રસ્તાથી હાઇવે પર પાણી ફરી વળતા અમુક ગામોનો સંપર્ક કપાયો હતો.જેમાં આ રસ્તા પર આવતા સરવડ, પીપળીયા, તરઘરી, ચાચાવદરડા, નાના ભેલા, મોટા ભેલા, ભાવપર, બગસરા અને વવાણીયા સહિતના ગામોનો સંપર્ક તૂટતાં લોકોને તહેવારના સમયે ભારે હલાકીનો સામનો કરવો પાડ્યો છે અને વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હોવાનું જાણવા મળે છે.