મોરબી : આજે તારીખ 15 જૂન ને વહેલી સવારે મોરબીમાં ગૌરક્ષકોએ ક્રુરતા પૂર્વક બાંધીને કતલખાને લઈ જવાતા 10 પશુઓને બચાવીને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષા ગુજરાત રાજ્યને બાતમી મળી હતી કે કચ્છ તરફથી એક બોલેરો પીકપ ગાડીમાં બકાલાની ગ્રેટ ગોઠવીને નીચે પશુ ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. બાતમીના આધારે વોચ ગોઠવીને કચ્છ માળીયા તરફથી આવતી GJ-12-CT-6934 નંબરની બોલેરો પીકપ ગાડીને ઉભી રાખીને તપાસ કરતા તેમાં 10 પાડા પૂરતા પૂર્વક દોરડાથી બાંધ્યા હતા. આ અંગે ડ્રાઇવરને પૂછપરછ કરતા તેની પાસે કોઈ પરમીટ ન હોવાનું જણાવ્યું હતું અને આ પશુ કચ્છથી ભર્યા હતા અને જામનગર કતલખાને લઈ જવામાં આવતા હોવાનું જણાવ્યું હતું જેથી ગૌરક્ષકોએ આ 10 પશુને છોડાવ્યા હતા અને મોરબી પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા હતા. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.