દિવ્યાંગના ચહેરા પર ખુશી લાગણી છવાઈ
મોરબી : મોરબીમાં કાર્યરત અગ્રણી સામાજિક સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા સાચા અર્થમાં માનવતા મહેકાવતું એક ઉત્તમ સેવાકાર્ય કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા એક જરૂરિયાતમંદ દિવ્યાંગ ભાઈને ટ્રાઇસાયકલ અર્પણ કરવામાં આવી છે, જે તેમના માટે માત્ર એક સાધન નહીં પરંતુ આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત બની રહેશે.
વર્ષોથી અન્યો પર નિર્ભર રહેતા આ દિવ્યાંગ ભાઈ માટે આ ટ્રાઇસાયકલ જીવનમાં આગળ વધવાની નવી રાહ બની છે. આ સહાય મળતા જ લાભાર્થીના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી અને તેઓની આંખોમાં આભારની લાગણી છલકાઈ હતી. આ વિતરણ કાર્યક્રમમાં મુસ્કાન વેલફેર સોસાયટીના તમામ સભ્યોએ પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને ખાસ ઉપસ્થિત રહી આ સેવાકાર્યને સફળ બનાવ્યું હતું. સંસ્થાના સભ્યોનો સેવાભાવ અને એકતા જ તેમની સાચી તાકાત છે, જે અનેક જરૂરિયાતમંદોના જીવનને સ્પર્શી રહી છે. આ તકે સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, “અમે માત્ર મદદ નથી કરતા, પરંતુ લોકોના જીવનમાં આશા અને આત્મવિશ્વાસ જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ.” સાથે જ ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાની તેઓએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુસ્કાન વેલફેર સોસાયટી હંમેશા સમાજના નબળા વર્ગ માટે સંવેદનાથી કાર્યરત રહી છે અને આગામી સમયમાં પણ આવી માનવતાભરી પહેલ ચાલુ રાખી અનેક જિંદગીઓને ખુશીઓથી ભરી દેશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.