5 સભ્યોને અન્ય સમિતિઓના ચેરમેન બનાવાયા, તેમના સ્થાને 5 નવા સભ્યોની સ્ટેન્ડિંગમાં વરણી
મોરબી: મોરબી મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વિવિધ 15 સમિતિઓની રચનાને મંજૂરી આપવામાં આવી હતી. નવી સમિતિઓની રચના સાથે મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ સ્ટેન્ડિંગ કમિટીમાં સમાવિષ્ટ 5 સભ્યોને અન્ય સમિતિઓમાં ચેરમેનની જવાબદારી સોંપવામાં આવતા તેમના સ્થાને નવા 5 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મોરબી મનપાની અગાઉ રચાયેલી સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 12 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ચેરમેન તરીકે જયંતિભાઈ દામજીભાઈ પડસુંબિયા તથા સભ્યો તરીકે નવનીતભાઈ ભુદરભાઈ કુંડારિયા, ભાવિકકુમાર ભરતભાઈ જારીયા, વિવેકભાઈ રમેશભાઈ ગોલતર, ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા, રવિન્દ્રભાઈ ધનજીભાઈ સનાવડા, જીગ્નેશભાઈ હંસરાજભાઈ કૈલા, મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠાકર, મેઘાબેન દીપકભાઈ પોપટ, અશ્વિનીબેન અશ્વિનભાઈ પાટડીયા, પુષ્પાબેન જીગરભાઈ વાળા અને મનસુખભાઈ મુળજીભાઈ સારેસાનો સમાવેશ થતો હતો.
આજે સામાન્ય સભામાં મનપાની વિવિધ 15 સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ સમિતિઓમાં સ્ટેન્ડિંગ કમિટીના અગાઉના 5 સભ્યોને ચેરમેનપદની જવાબદારી સોંપવામાં આવી છે. જેના પગલે આ પાંચેય સભ્યોને સ્ટેન્ડિંગ કમિટીમાંથી દૂર કરી તેમની ખાલી પડેલી જગ્યાએ નવા સભ્યોની વરણી કરવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટીમાં નવા સભ્યો તરીકે ગણેશભાઈ ડાભી, ભુપતભાઈ જારીયા, ગોપાલભાઈ કાસુન્દ્રા, ભગવતીબેન મુકેશભાઈ કુંડારિયા અને ભાવેશભાઈ કંજારીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આમ, મનપાની વિવિધ સમિતિઓની રચના સાથે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ પાંચ નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના પાંચ સભ્યોને અન્ય સમિતિઓના ચેરમેન તરીકે નવી જવાબદારી મળતા મનપાની સમિતિઓના માળખામાં મહત્વનો ફેરફાર થયો છે.