Saturday - Jun 27, 2026

મોરબીના મચ્છુ ડેમમાંથી પાણી છોડતા પહેલા મીઠા ઉદ્યોગને નુકશાન ન થાય તે રીતે આયોજન કરવાની માંગ

મોરબીના મચ્છુ ડેમમાંથી પાણી છોડતા પહેલા મીઠા ઉદ્યોગને નુકશાન ન થાય તે રીતે આયોજન કરવાની માંગ

મોરબી જિલ્લામાં તાજેતરમાં ભારે વરસાદ પડ્યો હતો અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ થતાં મચ્છુ -1,2,3 એમ આ ત્રણેય ડેમ ઓવરફ્લો થતા મચ્છુ નદીમાંથી ડેમનું બધું જ લાખો ક્યુસેક પાણી માળીયાના રણ વિસ્તારમાં આવેલા મીઠાના અગરોમાં ફરી વળ્યું હતું. આથી મીઠા ઉદ્યોગને મોટું નુકસાન થતા આ મીઠા ઉદ્યોગ પાયમાલ થયો હતો. આવું એકવાર થયું નથી  જ્યારે જ્યારે ભારે વરસાદ પડે ત્યારે ત્યારે મીઠા ઉદ્યોગની કપરી દશા થઈ જાય છે. આથી આ દરેક વખતની મુશ્કેલી નિવારવા યોગ્ય ઉપાયો સાથે આયોજન કરવા મરીન સોલ્ટ એસોસિએશન દ્વારા પાણી પુરવઠા મંત્રીને રજુઆત કરવામાં આવી છે.


માળીયાના મીઠા ઉદ્યોગોએ રજુઆતમાં જણાવ્યું હતું કે,2017 અને 2024માં ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડતાં મચ્છુના ત્રણેય ડેમો ઓવરફ્લો થવાથી પાણી લાખો ક્યુસેક છોડતા માળીયાના મીઠાના આગરોનું ધોવાણ થયું હતું. જેથી મોટાપ્રમાણ મીઠા ઉધોગોને નુકશાની ભોગવવી પડી હતી. આ રીતે વારંવાર વધુ વરસાદ પડતાં મચ્છુ ડેમ 1 ઓવરફ્લો થતા તેનું બધું જ પાણી મચ્છુ -2માં આવતા ઓવરફ્લો થવાથી માળીયા ઉપર વગર વરસાદે આફત વરસે છે. માળીયાનો મીઠા ઉદ્યોગ પાયમાલ થાય છે. સાથે સાથે માળિયાની ખેતીમાં પણ વ્યાપક નુકશાની થાય છે. તેમજ પાણી ભરવવાથી બીજી પણ જાનમાલ, મિલકતને  નુકશાની થાય છે. આથી મીઠા ઉધોગને નુકશાનીમાંથી બચાવવા સરકાર અને તંત્રએ આગોતરું આયોજન કરવું જોઈએ. જેમાં ચોમાસામાં આગોતરા આયોજનના ભાગરૂપે મચ્છુ-2ના અમુક રૂટ ખાલી રાખવા જોઈએ, મચ્છુ-1 ડેમને કોઈ દરવાજો ન હોય એટલે ઓટોમેટિક ભરાયને ઓવરફ્લો થતો હોય ત્યારે મચ્છુ -2 ડેમને મર્યાદિત ભરવો જોઈએ, કારણ કે મચ્છુ -2 ડેમ મધર ડેમ અને નર્મદા સાથે લિંક હોવાથી ગમે ત્યારે નર્મદાથી આ ડેમ ભરી શકાય એમ હોય આ બધી જ બાબતોને ધ્યાને લઇ નુકશાની ભોગવવી ન પડે તે માટે યોગ્ય આયોજન કરવાના ઉપાયો સૂચવ્યા છે.