મોરબી જિલ્લો જ નહીં પણ રાજ્યભરમા માળીયા તાલુકો તમામ રીતે બેહાલ છે. દિવસે અને દિવસે બંજર બનતી ખેતીની જમીન અને પીવાના પાણી તેમજ અનેક અસુવિધાઓને કારણે માળીયા તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોની દશા ખૂબ જ ખરાબ છે. તેમાનું એક એટલે માળીયાના ભાવપર ગામેં જળ કટોકટીએ એટલો દાટ વાળ્યો કે પીવાનું પાણી પણ માંડ મળતું હોય ત્યારે હરિભરી ખેતીની માત્ર કલ્પના જ કરવી રહી.
માળીયા તાલુકાના ભાવપર ગામના સરપંચએ જણાવ્યું હતું કે, આ ગામ આશરે 500 વર્ષ પૂરાણુ હોય અને ભૂકંપ પછી આ ગામના બે ભાગલા પડ્યા હોય હવે જૂનું ભાવપર અને નવું ભાવપર ગામ તરીકે ઓળખાય છે. પીવાના પાણીની ગંભીર સમસ્યા હોવાથી એક સમયે 4 હજાર જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં હવે 1 હજાર જેટલી વસ્તી બચી હોય એ હદે આ ગામનું મોરબીમાં શહેરીકરણ થયું છે. આમ છતાં હજુ પણ આ એક હજારથી વધુ પ્રમાણમાં રહેલી વસ્તી આજીવિકા માટે પરંપરાગત ખેતી પર નભે છે. નર્મદા લાઇનમાંથી પાણી આ ગામને આપવામાં આવતું હોય પણ જેટલી પાણીની ડિમાન્ડ હોય એના કરતાં ખૂબ ઓછું પાણી અને અગાઉ પાંચ છ દિવસે અને હવે એકાતરામાં પાણી વિતરણમાં પણ ખૂબ ઓછી કલાક માટે પાણી આપતું હોય પીવા માટે માંડ માંડ મેળ થતો હોય ત્યાં ખેતી માટે પાણી ક્યાંથી મળે ? એટલે મોટાભાગે સૂકી ખેતી છે. કારણ કે, નર્મદા કેનાલમાંથી સિંચાઈનું પાણી મળતું ન હોય ત્યારે ખેતી પણ વરસાદ આધારિત જ હોય ને. વર્ષોથી જ્યારે સારો વરસાદ પડે તો જ યોગ્ય પાક મળે પણ વરસાદ યોગ્ય રીતે જેમાં સૌથી વધુ કે સૌથી ઓછો વરસાદ પડે તો ઠન ઠન ગોપાલ જેવી જ સ્થિતિ થાય છે.
ગામ છોડનારા માલામાલ થઈ ગયા
ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે, વર્ષોથી તેમનું ગામ ખેતી પર નભે છે અને જળ હોનારત પહેલા આ ગામની અંદાજીત 4 કે 5 હજાર વસ્તી હતી. પણ છેલ્લા બે દાયકાથી વરસાદમાં ઉતાર ચઢાવ આવતા એટલે કે ક્યારેક ઓછો વરસાદ તો ક્યારેક વધુ વરસાદ તેમજ મોટાભાગે 80-90નો ગાળો દુષ્કાળ ગ્રસ્ત હોવાથી ગામના મોટાભાગના લોકોએ 90-2000 સુધીમાં ગામ છોડીને મોરબી આવીને વસી ગયા અને સીરામીકના નાના મોટા વ્યવસાયમાં જોડાઈને ખંત પૂર્વક કામ કરતા આ બધાં ભાવપરના ફેમેલીઓએ મોરબીમાં માલામાંલ થઈને ઠાઠમાઠથી રહે છે.