ખેડૂતોના પ્રશ્નો અને બજેટ મામલે કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા
મોરબી : મોરબીમાં ઘણા સમયથી ક્રાઈમ રેટ વધતો હોવા છતાં રેન્જ આઈજીના સબ સલામતીના દાવાની હમણાંથી ઉપરાછાપરી બે સરાજાહેર નિર્દયતાપૂર્વકની હત્યાએ પોલ ખોલી નાખી છે. હત્યાની ઘટનાથી ભોગ બનનારના પરિવાર સાથે મોરબી મોરબી હચમચી ઉઠ્યું છે. ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગયાના આક્ષેપ સાથે સમગ્ર જિલ્લા પોલીસ પ્રશાસન અને ભાજપ સરકારને ભીંસમાં લેવા કોંગ્રેસ મેદાને આવી હતી અને કોંગ્રેસ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગયાની જાહેરમાં નારેબાજી લગાવીને પોલીસ અને ભાજપ સરકાર પર તૂટી પડી હતી. તેમજ ભાજપ સરકાર બજેટના નામે ખેડૂતો સહિતના લોકોને ઉઠા ભણાવતી હોવાના આકરા પ્રહાર કર્યા હતા.
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં સતત ગુનાખોરી વધતી હોય ગુનાઓને અંકુશમાં લેવા કોઈ ઠોસ કદમ ઉઠાવવાને બદલે રાજ્યના ગૃહમંત્રી દક્ષિણ ગુજરાતમાં ફરી રહ્યા હોય તેવા સંજોગોમાં સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. તાજેતરના ગુજરાતના બજેટમાં ભાજપ સરકાર માત્ર ચણા-મમરા જેવી જોગવાઈ કરી ઘણા વર્ગને અન્યાય કર્યો છે. આવા બજેટથી કોઈ વિકાસ થવાનો નથી. 52 ટકા વસ્તી ધરાવતા ઓબીસી સમાજ માટે બજેટમાં અલગથી ઓછામાં ઓછી 30 ટકાની નાણાકીય જોગવાઈ થવી જોઈએ. આ ઉપરાંત એસસી, એસટી અને આદિવાસી સમાજના વાસ્તવિક વિકાસ માટે પણ બજેટમાં યોગ્ય જોગવાઈ થવી જોઈએ.ખેડૂતોને હજુ સુધી તેમના પાકના પૂરા પૈસા મળ્યા નથી. તેવા સંજોગોમાં કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકા સાથે જે સોલાર કંપનીઓની ડીલ કરવામાં આવી છે તેમાં વિદેશી કંપનીઓને ટેક્સમાંથી મોટી મુક્તિ આપવામાં આવી છે, જ્યારે આપણા દેશના ખેડૂતોને બરબાદ કરવામાં આવી રહ્યા છે.