મોરબી : મોરબી મહાનગરપાલિકાને એક વર્ષ પૂર્ણ થતાં ઉજવણી સપ્તાહ ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે આજે ધો.11ની વિદ્યાર્થીની આયુષી માકાસણાને 1 કલાક માટે મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવી હતી. આ બાળકીએ સાંજે 5:20થી લઈ 6:20 સુધી મોરબી મહાપાલિકાના કમિશનર બની કામગીરી કરી હતી.
કમિશનર બનેલી આયુષી મકાસણાએ જણાવ્યું કે નાના સ્તરેથી કઈ રીતે કામ થાય છે. તે આજે જોયુ. સફાઈથી લઈ દંડ વસુલાત અને મિટિંગ સહિતની કામગીરી નિહાળી. સબ જેલથી લીલાપર રોડ સુધીના રોડના કામગીરીની વિગતો મેળવી અને જરૂરી આદેશો આપ્યા. કમિશનરની દર મંગળવારે સફાઈ માટેની મિટિંગ હોય છે, શુક્રવારે તેઓ રાત્રીના 10થી 1 સુધી વિઝિટ લ્યે છે. તે પણ જાણવા મળ્યું. પબ્લિકે પોતાની સમસ્યા અંગે ફરિયાદ કરવી જ જોઈએ પણ કોઈ સમસ્યાનું તુરંત સમાધાન ન આવે. પ્રજા અને કમિશનરના સમન્વયથી જ સારી કામગીરી થઈ શકે.
મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે ગઈકાલે 150 બાળકોએ મહાપાલિકાની વિઝિટ લઈ કામગીરી અંગે વિગતો મેળવી હતી. ત્યારબાદ આજે 10 બાળકો સાથે ડે વિથ કમિશનર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકો તેમની સાથે રહ્યા હતા. આ બાળકોને વહેલી સવારે મનપાના કમિશનર સ્વપ્નિલ ખરે સાથે રહ્યા હતા, 6:30 રવાપર ક્લસ્ટર ઓફિસની બાળકો એ વિઝીટ કરી હતી. ત્યાં ક્લસ્ટર ઓફીસમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરીની સમીક્ષા કરી હતી, ત્યારબાદ તમામ વિદ્યાથીઓએ સફાઈ તથા અન્ય કામગીરીઓનું સાઈટ વિઝીટ દ્વારા અવલોકન કર્યું હતું, બાદમાં વિદ્યાર્થીઓએ મનપાની મિટિંગ અટેન્ડ કરી હતી. ત્યારબાદ તેઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા છાત્રાલય ખાતે "યુવા માર્ગદર્શન કાર્યક્રમ" કે જેમાં મનપા ના વિવિધ અધિકારીઓ દ્વારા આશરે 750 થી 800 વિધાર્થીઓને કરીઅર અંગેનું માર્ગદર્શન આપવાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.