મુખ્યમંત્રીની આગમન સંદર્ભે ધારાસભ્ય અને વહીવટ તંત્રના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ સુરક્ષાની ચકાસણી કરી
મોરબી: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 3 અને 4 નવેમ્બરના રોજ મોરબી જિલ્લામાં દાદા ભગવાનની જન્મ જયંતી મહોત્સવ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.આથી સીએમની મોરબી જિલ્લાની મુલાકાતને ધ્યાને લઇ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા જિલ્લા મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ વિવિધ વ્યવસ્થાઓ અને સુરક્ષાની પણ સમીક્ષા કરી હતી.
દાદા ભગવાનની જન્મ જયંતીની ઉજવણીના અનુસંધાને મોરબી જિલ્લામાં 3 થી 9 નવેમ્બર દરમિયાન ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહેવાના છે ત્યારે તેમની મુલાકાત સંદર્ભે સુરક્ષા સહિતની વિવિધ વ્યવસ્થાઓ બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થાઓ અને તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે વ્યવસ્થાઓને સુનિશ્ચિત કરવા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી અને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નિવાસી અધિક કલેક્ટર ઉમંગ પટેલ, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર દિગ્વિજય સોલંકી, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઈજનેર દિવ્યેશ બાવરવા સહિતના અધિકારીઓએ વ્યવસ્થા અને સલામતીનું સઘન નિરીક્ષણ કર્યું હતું.