મોરબી : મોરબીની સોની બજાર સ્થિત ઉપાશ્રયમાં ગચ્છાધિપતિ આચાર્ય સાધના સમ્રાટ ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં ભગવાન મહાવીર સ્વામીના કેવલજ્ઞાન કલ્યાણક પવિત્ર દિવસે "શાસન સ્પર્શ" નો ભક્તિસભર કાર્યક્રમ 350 થી વધારે ભાવિકોની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી યોજાયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત સંઘરત્ન પ્રમુખ નવિનભાઈ દોશીએ ધ્વજારોહણ કર્યું હતું. તેમની સાથે સંઘદીપિકા ઉર્મિલાબેન મહેતા, યોગેશભાઈ મહેતા, હસમુખભાઈ દોશી, અશોકભાઈ મહેતા, કેતન મહેતા, સમીર મહેતા, કમલેશભાઈ દફ્તરી, ભરતભાઈ સંઘવી વગેરેએ જૈન ધ્વજને વધાવ્યો હતો. ઉપસ્થિત શ્રાવક-શ્રાવિકાઓએ 2582 માં શાસન સ્થાપના વર્ષ નિમિત્તે શાસન વંદના કરી જૈન ધર્મ, આગમ અને આદર્શોને અનુસરવા તથા વફાદાર રહેવા માટેનો દ્રઢ સંકલ્પ કર્યો હતો.
તરલાકુમારી આર્યાજીના માર્ગદર્શન મુજબ 30 થી વધુ નાના-મોટા કુમાર અને કુમારિકાઓએ ગીત-ડાન્સ, સંવાદ અને વિવિધ પાત્રોના અભિનય દ્વારા કાર્યક્રમને ખૂબ જ રોચક બનાવ્યો હતો. કથ્થક નૃત્ય અને ભરત નાટ્યમમાં નવકાર મંત્ર અને ત્રિપદીના ગીતમાં ભાવભંગિમા, લય અને નૃત્ય જોઈને સૌ ઉપસ્થિતો પ્રભાવિત થયા હતા. મુખ્ય પાત્રોમાં નૈતિક ખોખાણી, શિલ્પા પિયુષભાઈ દફ્તરી, પ્રીતી મહેતા, મિઝા કપાસી, પારુલ મહેતા, મોનાર્ક દફ્તરી, ધ્રુવ મહેતા, મીતિત મહેતા, મોક્ષા, હેત્વી, ખુશી, શોભા, શ્રદ્ધા, પ્રિયા પટેલ, ડૉ. વૈભવ અને નિધિ દફ્તરી, મેઘા દફ્તરી, ધાર્મી મહેતા, વિહા દફ્તરી વગેરેએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ સમગ્ર કૃતિઓની કોરિયોગ્રાફી અમિતા દફ્તરી દ્વારા કરવામાં આવી હતી, જ્યારે કાર્યક્રમનું સંચાલન કેતન મહેતા અને હેતલબેન દફ્તરીએ સંભાળ્યું હતું. આજના આ શુભ દિવસે હિતેષભાઈ દોશીએ વર્ષીતપનું પારણું પણ કર્યું હતું, જે નિમિત્તે જૈન સંઘ તરફથી તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ડૉ. પૂ. ચિંતનચંદ્રજી સ્વામીએ પ્રવચન પુષ્પોમાં ભગવાન મહાવીરની પુરુષાર્થ યાત્રાથી લઈને કેવલજ્ઞાન સુધીની સફરની સુંદર રજુઆત કરી હતી.