મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક દ્વારા દીકરીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી
મોરબી : મોરબીમાં સામાજિક ઉત્તરદાયિત્વ અને માનવતાના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક ડો. દેવેનભાઈ રબારીએ પોતાના જીવનના 2 અનમોલ અવસરોની ઉજવણી અતિશય પ્રેરણાદાયી અને પરમાર્થના માર્ગે કરી છે. આજરોજ તેમની વ્હાલસોયી દીકરી મનસ્વીના જન્મદિવસ અને પોતાના લગ્નની વર્ષગાંઠના પ્રસંગે તેઓએ 'યંગ ઇન્ડિયા ગ્રુપ'ની ગૌરવશાળી પરંપરાને આગળ ધપાવી હતી. આ અંતર્ગત સંસ્થાના "આપવાનો આનંદ" કાર્યક્રમ હેઠળ ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારના વંચિત બાળકો સાથે ખુશીઓની વહેંચણી કરવામાં આવી હતી.
આ મંગલમય દિવસે ડૉ. દેવેન રબારી અને તેમના પરિવારે ભપકાદાર ખર્ચાઓથી દૂર રહીને, સમાજના છેવાડાના શ્રમિક અને ગરીબ પરિવારોના બાળકોને ભાવતું ભોજન કરાવ્યું હતું. ચૈતન્ય સમાન અને ઈશ્વરનું રૂપ ગણાતા આ બાળદેવતાઓને તૃપ્ત કરી, તેમના ચહેરા પરનું નિર્દોષ સ્મિત જોઈને પરિવારે ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પવિત્ર કાર્ય થકી બાળમિત્રોના અંતરના આશીર્વાદ મેળવી દીકરી મનસ્વીના ભવિષ્યને સુરક્ષિત અને સંસ્કારી બનાવવાનો એક સ્તુત્ય પ્રયાસ કરાયો હતો.
આ પ્રસંગે ડૉ. દેવેન રબારીએ 'યંગ ઇન્ડિયા ગ્રુપ'ની વિચારધારાને બિરદાવતા જણાવ્યું હતું કે, "યંગ ઇન્ડિયા ગ્રુપ માત્ર એક સંસ્થા નથી, પણ મોરબીમાં સદભાવના, સમાનતા અને સેવાનો જીવંત ધબકારો છે. કોઈપણ નાત-જાતના ભેદભાવ વિના સમાજના પછાત વર્ગને મુખ્ય પ્રવાહમાં લાવવા અને તેમના જીવનમાં ખુશીઓ રંગવા માટે આ ગ્રુપ હંમેશા દીવાદાંડી સમાન કાર્ય કરે છે. 'આપવાનો આનંદ' એ માત્ર એક પ્રોજેક્ટ નથી, પરંતુ સમાજ પ્રત્યેની આપણી સંવેદનશીલતા પ્રગટ કરવાનું એક પવિત્ર માધ્યમ છે."