હળવદ : દરેક પિતા સંતાનોનો લાલનપાલનથી ઉછેર કરવામાં જાતને ઘસી નાખે છે. પણ પિતા સંતાનોને ઉની આંચ આવવા દેતા નથી. આવા સંજોગોમાં હળવદમાં નરાધમ બાપે અધમતાની જે સીમા વટાવી દીધી છે, તેનાથી સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી ગયું છે. જેમાં હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં બે દિવસ પૂર્વે એક વર્ષના બાળકની લાશ મળી આવવા મામલે પોલીસે ગણતરીના દિવસોમાં બનાવનો ભેદ ઉકેલી નાખી માસૂમ બાળકને ત્યજી દેનાર નરાધમ પિતા વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં ગત તા.2ના રોજ એક વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે આજુબાજુના વાડી વિસ્તારમાં તપાસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી જેમાં હાલમાં રાયસંગપર ગામની સીમમાં હમીરભાઈની વાડીએ કામ કરતા મૂળ દાહોદના વતની આરોપી ભયલું ઉર્ફે રાજુ તેરસિંગ બામણિયા ઉ.વ.24એ પોતાના એક વર્ષના પુત્ર નવશીકને બ્રાહ્મણી નદીના પટ્ટમાં ત્યજી દેતા બાળકનું મૃત્યુ થયાનું સ્પષ્ટ થતા આરોપી પિતા વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.