પીવાના પાણીની લાઈનમાં લીકેજ કરી ખેતરમાં પાણી વપરાતું હોવાનું ખુલ્યું
મોરબી : મોરબી જિલ્લામાં નર્મદા યોજનાથી લઈ અન્ય જૂથ પાણી પુરવઠા યોજનાની અનેક લાઈનો બિછાવી જામનગર અને દ્વારકા સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે નાગડાવાસ ગામની સીમમાં આવી જ એક મુખ્ય લાઈનમાં એરવાલ્વમાં ભંગાણ કરી પીવાના પાણીનો ખેતી માટે ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવતા પાણી ચોરી મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની ફરિયાદો વચ્ચે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની મુખ્ય લાઈનમાં પાણી ચોરી થઈ રહી હોવાની માહિતીના આધારે જીડબ્લ્યુઆઈએલની લાઇન ચેકીંગ દરમિયાન નાગડાવાસ ગામની સીમમાં રેવન્યુ સર્વે નંબર 5ની જમીનના માલિક મેરામભાઈ રાઠોડ દ્વારા પાણીના એરવાલ્વમાં લીકેજ કરી થોડે દુર પાણીનો ખાડો બનાવી પાણી સંગ્રહ કરવામાં આવતો હોવાનું સામે આવતા સરકારી કંપનીના સુપરવાઈઝર વિપુલભાઈ શામજીભાઈ વેકરિયા રહે.સંસ્કાર સીટી, મવડી, રાજકોટએ ખેતીની જમીનના માલિક મેરામભાઈ રાઠોડ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ધ પ્રિવેંશન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એકટ ઇ કલમો મુજબ તેમજ ઘરવપરાશ પાણી પુરવઠા સંરક્ષણ અધિનિયમ અન્વયે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.