મનો દિવ્યાંગ યુવાન અશક્ય સિદ્ધિને સાકાર કરી કુદરતી ઉણપનો શિકાર બનેલા લોકો માટે રોલ મોડેલ બન્યો
કુદરતી ઉણપનો શિકાર બનેલા શારીરિક કે મનો દિવ્યાંગો માટે સામાન્ય માણસ જેવું જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. ત્યારે મોરબીના 75 ટકા મનો દિવ્યાંગતા ધરાવનાર યુવાને આત્મ વિશ્વાસ અને બૌદ્ધિક ક્ષમતા ન હોવા છતાં કુદરતની કૃપાથી અસાધારણ સિદ્ધિ મેળવી છે. જેમાં મોરબીમાં રહેતા 21 વર્ષીય જય વિજયભાઈ ઓરિયા જન્મથી જ 75 ટકા મનો દિવ્યાંગ છે. પોતાનો વ્હાલસોયો પુત્ર જન્મથી મનો દિવ્યાંગ હોવાની ખબર પડતાં પિતા વિજયભાઈને આઘાત લાગ્યો હતો. એટલે તેમણે પુત્રની માનસીક હાલતમાં સુધારો લાવવા શક્ય હોય એટલી તમામ મનો ચિકિત્સા કરાવી હોવા છતાં આ કુદરતી ઉણપ હોવાથી પુત્રની માનસિક હાલતમાં કોઈ ફરક પડ્યો ન હતો. એટલે માનસિક આવેગો પર કાબુ મેળવી શાંત પ્રકૃતિ કેળવીને સામાન્ય માણસ જેવું વર્તન કરી શકે તેવા પ્રયાસો કરવા પહેલા તો પુત્રને ભાવનગરની એક મનો દિવ્યાંગ શાળામાં ભણવા મોકલ્યો હતો. પરંતુ તેની મનો સ્થિતિ નબળી હોવાને કારણે શિક્ષણમાં આગળ નહિ વધી શકે એવું લાગતા ધો.6 સુધી ભણાવીને મોરબી જ બોલાવી પિતાએ તેનું કાળજી પૂર્વક જતન કરી તેને કઈ કઈ બાબતોમાં રસ રુચિ છે તે જાણવાના પ્રયાસો કરતા પુત્રમાં સાહસિક વૃત્તિ જબરી હોવાનો અંદાજ આવ્યો હતો. પુત્રને હરવા ફરવા અને ખાસ તો ડુંગરો તેમજ પહાડોમાં ઉત્તર ચઢાવ એટલે એડવેન્ચરમાં બહુ જ શોખ હોવાથી પિતાએ બધા કામો પડતા મૂકી તેની સાથે જ રહીને એડવેન્ચરમાં આગળ વધારવા પ્રોત્સાહિત કર્યો, સતત ડુંગરો તેમજ પહાડોને ખુંદી વળવાની પિતા પુત્રની અંતે મહેનત રંગ લાવી હતી. આથી જય ઓરિયાએ 2004માં કેદારનાથની કઠિન પગપાળા યાત્રા પુરી કરી હતી. આ રીતે તેણે પિતા સાથે 2025માં અતિશય દુર્લભ ગણાતી પહેલગામથી બાલતાલના રૂટ ઉપર મેડિકલ ફિટનેસ પાસ કરી પગપાળા અમરનાથની યાત્રા પૂર્ણ કરી હતી. ઉંચા નીચા પહાડો, ખડકો અને તાપમાનની વધઘટ સાથે અતિશય આ કઠિન યાત્રા પગપાળા પૂર્ણ કરવી સામાન્ય માણસ માટે મુશ્કેલ હોય છે. ત્યારે જય ઓરિયાએ મનો દિવ્યાંગ હોવા છતાં કઠિન યાત્રા પુરી કરીને બે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. જે મનો દિવ્યાંગો માટે રોલ મોડલ સમાન છે
પુત્રની દેખભાળ માટે પિતાએ સંસાર ત્યાગી દીધો
જયની આ સિદ્ધિ પાછળ જેની કૃષ્ણ જેવી ભૂમિકા છે તે તેના પિતા વિજયભાઈ ઓરિયાએ જણાવ્યું હતું કે, મારા પુત્રની માનસિક ક્ષમતા વિશે મને પૂરેપૂરું જ્ઞાન હોય એટલે તે બોલી શકતો ન હોય તો પણ હું તેની ઈચ્છા અને જરૂરિયાતની ખબર પડી જાય છે. માનસિક રીતે અસક્ષમ હોય એટલે બીજા પર નિર્ભર રહેવું પડતું હોય હું તેની દરેક નાનામાં નાની બાબતની કાળજી રાખી તેની માનસિક સ્થિતિ એકદમ શાંત રહે તેવા પ્રયાસો કરું છે. એટલે એના મનને ઠેસ ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખું છે. આ કઠિન યાત્રા મારા જેવા સામાન્ય માણસ માટે મુશ્કેલ હોય કારણ કે અમરનાથ યાત્રામાં વરસાદ, ભુખલન સહિતની આફતો આવતી હોય પણ જયની યાત્રા દરમિયાન કુદરતની કૃપાથી આવી કોઈ આફતો આવી ન હોવાથી તેણે નિવિર્ધને આ યાત્રા પૂર્ણ કરી હતી. આમ તો નાનપણથી જ હું જયની ખૂબ જ કાળજી રાખતો હોય પણ એનું ધ્યાન રાખવા અને એડવેન્ચર માટે પ્રેરિત કરવા માટે સાતેક વર્ષ પહેલા જ મેં રાજીખુશીથી ઘરસંસાર છોડી દીધો હતો. એટલે ખાસ પુત્રની સાર સંભાળ માટે સન્યાસ લીધો હોય દરરોજ એ મારી સાથે જ હોય છે. રોજ અમે ત્રણથી ચાર કિમિ ચાલીને જઈએ અને કલાકો સુધી ધ્યાન યોગો કરીએ એટલે મારા પુત્રના માનસીક આવેગો શાંત થઈ ગયા છે અને હવે તેનું મન શાંત પ્રકૃતિનું થઈ જતા સામાન્ય માણસ જેવું નોર્મલ વર્તન કરે છે.
અશક્ય બાબતને શક્ય કરી બતાવી
જય ઓરિયા 75 ટકા મનો દિવ્યાંગ હોય એટલે એનામાં આત્મ વિશ્વાસ અને બૌદ્ધિક વિકાસ ખૂબ જ ઓછો હોય એટલે એને સામાન્ય માણસ જેવું જીવન જીવવામાં પણ અનેક પડકારો હોય છે. જેનામાં આત્મ વિશ્વાસ ન હોય એના માટે મોટી તો ઠીક નાની પણ સફળતા ન મેળવવી ખૂબ કઠિન હોય છે. પણ જો એ મહેનત કરે અને તેને કોઈ યોગ્ય રીતે ગાઈડ કરે તો કદાચ સફળતા મળે તેથી આ યુવાને જે સફળતા મેળવી તેમાં તેની મહેનત અને પિતાનું યોગ્ય દિશા સૂચન અને ખાસ કરીને કુદરતની કૃપા પણ ગણી શકાય, એટલે આ યુવાન એક મિશાલ બન્યો છે.
ડો.દીપ ભાડજા મનો ચિકિત્સક