મોરબી તાલુકાનું રામગઢનું નામ સાંભળીને ચોકી ન જતા. કારણ કે, રામગઢ શબ્દ આપણા મનમાં સંભળાઈ એટલે તુરત મગજમાં ભારે ઐતિહાસિક બનેલા ફિલ્મ શોલેની યાદ આવી જાય છે. જો કે 1975ની સાલમાં રિલીઝ થઈને રેકોર્ડ સર્જનાર શોલે ફિલ્મમાં રામગઢ ગામની પરીકલ્પના હતી. એ ફિલ્મમાં રામગઢ ગામમાં ખુંખાર ડાકુ ગબબરસિંહનો ભયાનક ખોફ હતો. પણ આ ફિલ્મ પહેલા જ વર્ષોથી મોરબી તાલુકાનું રામગઢ અસ્તિત્વમાં છે. વાસ્તવમાં આ રામગઢ ગામ કોઈથી પણ પીડિત નથી.
મોરબી તાલુકામાં આવેલ રામગઢ ગામના લોકોના જણાવ્યા મુજબ તેમના ગામની આશરે 70 વર્ષ પહેલાં સ્થાપના થઇ હતી. જેમાં આઝાદી પછી મોરબી તાલુકાના કોયલી ગામનો જ રામગઢ હિસ્સો હતું. પણ આજથી 70 વર્ષ પહેલાં કોયલી ગામમાંથી મોટો હિસ્સો અલગ પાડીને રામગઢ ગામ રચાયું હતું. જો કે તે સમયે શોલે ફિલ્મે જન્મ પણ લીધો ન હતો. તે પહેલાં આ રામગઢ ગામ બન્યું હતું. એમાંય ત્યાં રામનાથ નામનું ભવ્ય મંદિર હોવાથી આ મંદિરના નામથી રામગઢ ગામનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. આ ગામ નાનું છે. એમાં 400 જેટલી જ વસ્તી છે અને મુખ્ય વ્યવસાય ખેતી છે.
કોઈપણ પ્રસંગ કે તહેવારો હોય બધા ગામલોકો હળીમળીને ઉજવે છે. ગામમાં હજુ પણ શુદ્ધ વાતાવરણ અને એકદમ શાંતિ છે. આ ગામમાં મહાદેવ, હનુમાનજી અને રામ ભગવાન એમ ત્રણ મંદિર, સરકારી પ્રાથમિક શાળા, ગટર, સફાઈ, પાણી, રોડ રસ્તા એકદમ સારા અને ખેતી પણ સમૃદ્ધ છે. જો કે ગામમાં 8 પછીની શિક્ષણ વ્યવસ્થા તેમજ યોગ્ય આરોગ્ય વ્યવસ્થા અને હાઈફાઈ જીવનશૈલીની સુવિધાઓથી આ ગામ જોજનો દૂર છે. છતાં પણ આ ખામીઓ ક્યારેય ગામને સતાવી નથી. ગ્રામજનોએ વચ્ચે ભારે સંપ છે. ક્યારેય કોઈ નાની મોટી વાતને લઈને સહેજેય તકરાર થઈ નથી. ગામલોકો જે મળ્યું તેને વધાવીને ખુશીથી જીવે છે. જે નથી મળ્યું એના વિશે વિચારીને ક્યારેય પણ જીવ બાળતા નથી.આથી ગ્રામજનોની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમનામાં મોટો આત્મ સંતોષ છે. એ જ ગ્રામજનોની સાચી મૂડી છે.