મોરબી : મોરબી જિલ્લાના હળવદ પંથકમાં ભારે વરસાદને પગલે અનેક ગામો જળમગ્ન બની ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ખાસ કરીને વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ખેતરો અને નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી.જેમાં વહીવટી તંત્ર, SDRF અને ફાયર વિભાગની ટીમો દ્વારા હળવદ પંથકના અલગ-અલગ ત્રણ વિસ્તારોમાંથી કુલ 23 લોકોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે પહોંચાડવા આવ્યા હતા.
હળવદના જૂના માલણીયાદ અને એંજાર વચ્ચે આવેલ ઉકાભાઈ ગાંડાભાઈ કાટોડીયાના ખેતરમાં પાણી ભરાઈ જતા 7 વ્યક્તિઓ ફસાયા હતા. આ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રેસ્ક્યુ કરાયેલા લોકોમાં ગોવિંદભાઇ ચંદુભાઈ નાયક, નીલેશભાઈ ગોવિંદભાઇ નાયક, સમજુબેન ગોવિંદભાઇ નાયક, ચકુબેન નિલેશભાઈ નાયક, કાજલબેન નિલેશભાઈ નાયક, કરણભાઈ નિલેશભાઈ નાયક અને ઈન્દ્રરાજ નિલેશભાઈ નાયકનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, હળવદ તાલુકાના સુખપર ગામે પણ પાણીમાં ફસાયેલા 11 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું. જ્યારે અન્ય એક બનાવમાં હળવદના ઇંગોરાળા ગામે એક જ પરિવારના સભ્યો ફસાયા હોવાની માહિતી મળતા SDRF અને હળવદ ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે ભારે જહેમત ઉઠાવીને ઇંગોરાળા ગામે ફસાયેલા પતિ, પત્ની અને તેમના 3 બાળકોને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લીધા છે. તંત્રની આ ત્વરિત કામગીરીથી ફસાયેલા તમામ લોકો અને તેમના પરિજનોએ રાહતની લાગણી અનુભવી હતી.