ભાજપ ઉપર આકરા પ્રહારો સાથે મહાપાલિકાની ચૂંટણીમાં આપને પૂર્ણ બહુમતી મળવાનો ઈશુદાન ગઢવીનો દાવો
મોરબી : આગામી મહિલાઓમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મોરબીમાં વિધિવત રીતે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા હોય તે રીતે મોરબીમા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની જાહેર સભા યોજાઇ હતી જેમાં તેણે ભાજપ સરકાર ઉપર ઈશુદાન ગઢવીએ આકરા પ્રહારો કર્યા હતા ત્યારે સ્થાનિક યુવાન પ્રશ્ન પૂછવા માટે સ્ટેજ પાસે આવ્યો હતો ત્યારે આપના કાર્યકર દ્વારા તેને લાફો મારવામાં આવ્યો હતો અને ત્યારે બાદ પત્રકારોને માહિતી આપતા ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે આગામી સમયમાં મોરબી મહાપાલિકાની ચૂંટણી યોજાશે તેમાં આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતી સાથે આવશે.
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રાજનગરમાં આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશના આગેવાનો ઉપરાંત મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયા, જિલ્લાના પ્રમુખ મહાદેવભાઇ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે પંકજભાઈ રાણસરિયા તથા મહાદેવભાઇ પટેલ દ્વારા સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને વર્ષોથી સત્તામાં ભાજપના ધારાસભ્ય હોવા છતાં પણ લોકોના કામ કરવામાં આવ્યા નથી જેથી લોકોને પ્રાથમિક સુવિધા માટે રસ્તા ઉપર ઉતરવું પડે છે અને પ્રાથમિક સુવિધાની માંગ કરવી પડે છે તે વ્યવસ્થાને બદલવા માટે આગામી સમયમાં આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપવા માટે લોકોને આહવાન કર્યું હતું.
આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી દ્વારા સભાને સંબોધવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા અગાઉ જે વાયદા અને વચન લોકોને આપવામાં આવ્યા હતા તેને યાદ કરાવતા કહ્યું હતું કે, 400 રૂપિયાનો ગેસનો બાટલો 1200 નો થઈ ગયો છતાં કોઈ ભાજપ વાળા બોલતા નથી, ખેડૂતોને ખાતર નથી મળતું છતાં કોઈ ભાજપ વાળા બોલતા નથી, ઠેર ઠેર રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર પુલ તૂટે આવી બાબતો ગુજરાતમાં બની રહી છે તેમ છતાં કોઈ ભાજપ વાળા બોલતા નથી આ સહિતની બાબતોને ટાર્ગેટ કરીને ભાજપ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે સ્થાનિક એક યુવાન ઈશુદાન ગઢવીને પ્રશ્ન પૂછવા માટે ઊભો થયો હતો ત્યારે દિલ્હીમાં આપની સરકાર વિશેના પ્રશ્નો પુછવામાં આવતા આપના કાર્યકર દ્વારા યુવાન પાસેથી માઇક આંચકી લેવામાં આવ્યું હતું અને તેને લાફો ઝીકિ દેવામાં આવ્યો હતો.
પત્રકારો સાથેની વાતચીતમાં ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે, અત્યાર સુધી ગુજરાતની જનતા પાસે ભાજપ સામે કોઈ મજબૂત વિકલ્પ ન હતો પરંતુ હવે આમ આદમી પાર્ટીના રૂપમાં તેઓની પાસે મજબૂત વિકલ્પ છે અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવા માટે થઈને આમ આદમી પાર્ટીને લોકો ચૂંટશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આટલું જ નહીં પરંતુ મોરબી મહાપાલિકાની 52 બેઠકો છે તેમાં પૂર્ણ બહુમતી સાથે આમ આદમી પાર્ટી વિજેતા થશે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભાજપ અને કોંગ્રેસ તેના ઉમેદવારો જાહેર કરે ત્યારે પહેલા આમ આદમી પાર્ટી દ્વારા તેના ઉમેદવારોને જાહેર કરવામાં આવશે તેવું તેમણે અંતમાં જણાવ્યુ હતું.