Monday - May 25, 2026

હળવદ નજીક એસટી બસે ટ્રેકટરને જોરદાર ટક્કર મારતા ટ્રેક્ટર ચાલકનું મોત

હળવદ નજીક એસટી બસે ટ્રેકટરને જોરદાર ટક્કર મારતા ટ્રેક્ટર ચાલકનું મોત

મૃતકના પત્નીએ વોલ્વો બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબી - હળવદ હાઇવે પર દેવપુર ગામ નજીક ટ્રેકટર લઈને ખેતીકામ કરવા જતા યુવકને એસટી બસના ચાલકે પાછળથી ઠોકર મારતા ટ્રેકટર પલ્ટી જતા ચરાડવા ગામના યુવાન ખેડૂતનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પત્નીની ફરિયાદના આધારે હળવદ પોલીસે બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

હળવદ તાલુકાના ચરાડવા ગામે ગોપાલનગરમાં રહેતા શૈલેષભાઇ માવજીભાઈ સોનાગરા ગત તા.22ના રોજ સવારે અગિયારેક વાગ્યાના અરસામાં ખેતીકામ કરવા માટે મોરબી - હળવદ હાઇવે પર પોતાનું જીજે - 36 - એજે- 2779 નંબરનું ટ્રેકટર લઈને જતા હતા ત્યારે દેવપુર ગામના પાટિયા નજીક પહોંચતા રોડ પર પાછળથી આવતી એસટી વોલ્વો બસ નંબર જીજે - 07 - ટીયુ - 5844 નંબરના ચાલકે ટ્રેક્ટરના પાછળના ભાગે જોડેલા સાતીમાં ટક્કર મારતા ટ્રેકટર પલ્ટી ગયું હતું.ટ્રેકટર પલ્ટી જતા શૈલેષભાઇને ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતક શૈલેષભાઇના પત્ની સરસ્વતીબેન સોનાગરાએ હળવદ પોલીસ મથકમાં બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.