મોરબી : ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટનામાં અમારા પરિવારજનો ગુમાવ્યા છતાં જાણે અમે સજા ભોગવતા હોય તેમ લાગે છે કારણ કે બનાવ સમયે હવે પોલીસ ફરિયાદમાં જેમને આરોપી બનાવ્યા હતા. તેમાંથી હાલ એક પણ જેલમાં નથી તમામને સમયાંતરે એક પછી એક જામીન મળતા ગયાને બહાર નીકળતા ગયા સૌથી અચરજની વાત તો એ છે કે, મુખ્ય આરોપી જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. જેમાં હાઈકોર્ટ જે શરતો મૂકે તે નું પાલન કરવા જણાવ્યું હતું. હાઈકોર્ટે સૌ પ્રથમ મોરબી જિલ્લામાં જયસુખ પટેલના પ્રવેશ ન કરવા વિદેશ પ્રવાસ ન કરવા પાસપોર્ટ જપ્ત કરવા સહિતની અલગ લગ શરતો મુકવામાં આવી હતી એક પછી એક શરતો હળવી થવા લાગી મુખ્ય આરોપીને વિદેશ જવાની પણ મંજુરી મળવા લાગી છે. જયસુખ પટેલ ચાઈના અને અન્ય દેશમાં જઈ રહ્યા છે ઝુલતા પુલ દુર્ઘટના પહેલા તેમજ બાદમાં પણ અનેક ઘટના બની જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે,પરંતુ સરકાર દ્વારા આરોપીઓ સામે નક્કર તેમજ ઉદાહરણ રૂપ કોઈ પગલા ન લીધા હોવાના કારણે બેદરકારીથી મોત થવાની ઘટના સતત વધી રહી છે, અમે કોર્ટના ધક્કા ખાઈએ છીએ. ત્રણ વર્ષ દરમિયાન મૃતક લોકોના બચેલા સ્વજનો માંથી કેટલાકના મોત થયા છે અને જે ગતિથી કેસ પર કોર્ટ કાર્યવાહી ચાલે છે તે રીતે અમને ક્યારે ન્યાય મળશે તે ખબર નથી અમારા જીવતા આરોપીઓને સજા મળે તો ન્યાય સાર્થક કહેવાય તેમ પીડિત પરિવાર જણાવી રહ્યા છે.
ત્રણ વર્ષ થવા છતાં હજુ ચાર્જ ફ્રેમ થયા નથી આરોપીઓ વતી એક પછી એક સ્થાનિક કોર્ટ અને હાઈકોર્ટમાં અલગ અલગ અરજી કરવામાં આવે છે અને તેની સુનાવણી ના કારણે સ્થાનિક કોર્ટમાં હજુ સુધી આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ થયા નથી ત્યારે આ કેસમાં ક્યારે ચાર્જ ફ્રેમ થશે અને આગળની ન્યાયિક પ્રકિયા આગળ વધશે તેના પર પીડીત પરીવાર ઝંખી રહ્યું છે.
મોરબી ઝુલતા પૂલની દુર્ઘટનામાં મારી 10 વર્ષની છોકરીએ જીવ ગુમાવ્યો હતો. મારો દીકરો બચી ગયેલો પણ મને ત્યારે ઇજા પહોંચી હતી. આ ઘટનામાં 135 લોકો મૃત્યુ પામ્યા હતા જેના તમામ આરોપીઓ હાલ જામીનમુક્ત છે. આ ઘટના દુઃખદ કહેવાય, ફરીથી આવી ઘટના ન ઘટે એ માટે સિસ્ટમે પગલાં લેવા જોઈએ. એમાં વ્યવસ્થા ચૂકી ગયા હોય એવું ક્યાંકને ક્યાંક લાગે. જેવા પગલાં લેવા જોઈએ કડક એ નથી લેવાય રહ્યા જેને કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવે છે તેમ પરમાર નરેન્દ્રભાઇએ જણાવ્યું હતું.
મોરબીની ઝુલતા પુલ દુર્ઘટના ઘટી ત્યારે અમે 35 લોકો ગયા હતા જેમાં 6 લોકો મોતને ભેટ્યા હતા. જેમાં મારી દીકરી હતી, 2 ભાણેજ હતી, 2 બહેન હતી. હજુ પણ અમારા ઘરમાં શોકનો જ માહોલ છે. ગમે તે પ્રસંગ હોય અમને એ ઘટના યાદ આવે એટલે રડાવી જ જાય. ન્યાયની આશા રાખીને બેઠા છીએ પણ ધક્કા ખાઈએ બસ.. ન્યાય મળતો નથી. સરકારને એટલે વિનંતી કે જલ્દી ન્યાય અપાવે તો અમારા માટે સારું. તેમ મહેબુબભાઈ મીરાંએ જણાવ્યું હતું.
ઝુલતા પુલ દુર્ઘટનામાં મારો 19 વર્ષીય દીકરો મૃત્યુ પામ્યો હતો. અમે સરકાર પાસે એક જ અપેક્ષા રાખીએ છીએ કે અમને જલ્દી ન્યાય મળે. હું રાજકોટ નોકરી કરતો, હું અને મારો દિકરો સાથે રાજકોટ સાથે જતાં પણ હવે મેં રાજકોટ જવાનું જ છોડી દીધું કેમકે હું ત્યાં જાઉં ત્યારે મને એ યાદ આવે છે.