મોરબી : માળીયા મિયાણા હાઇવે ઉપર ત્રણ રસ્તા નજીક માનસિક બીમાર યુવાને બસમાંથી ઉતરી અચાનક હાઇવે ઉપર દોટ લગાવતા ટ્રક હડફેટે આવી જતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. નોંધનીય છે કે, મૃતક યુવાન કચ્છમાં ગૌશાળામાં કામ કરતો હતો અને માનસિક બીમાર થતા તેમના પરિજનો વતન ભરૂચ લઈ જતા હતા ત્યારે આ બનાવ આ બનાવ બન્યો હતો.
માળીયા મિયાણા પોલીસ મથકમાં ભરતભાઇ બચુભાઇ વસાવા રહે.ઝઘડિયા ભરૂચ વાળાએ જીજે - 12 - બીએક્સ - 2798 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.1 સપ્ટેમ્બરના રોજ તેમના પિતરાઇ શૈલેષભાઇ લક્ષ્મણભાઇ વસાવા ઉ.24 સાથે બસમાં ભરૂચ જતા હતા ત્યારે બસ માળીયા મિયાણા ત્રણ રસ્તા પાસે ઉભી રહેતા માનસિક બીમારીને કારણે શૈલેષભાઇ દોડીને હાઇવે ઉપર જતા રહેતા ટ્રક હડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં મૃતક શૈલેષ અને ફરિયાદી કચ્છના મોડપર ખાતે આવેલ લાલગેબી આશ્રમની ગૌશાળામાં કામ કરતા હોવાનું અને શૈલેષભાઇ બીમારીને કારણે ગાંડાવેળા કરતો હોય તેને વત્તનમાં મુકવા જતા હતા ત્યારે આ ઘટના બની હોવાનું ફરિયાદમાં જાહેર કર્યું હતું.