મેઘવિરામના એક દિવસ બાદ પણ સમગ્ર વિસ્તારની જળમગ્ન જેવી કઠિન પરિસ્થિતિ 200થી વધુ મકાનોના અસરગ્રસ્તો મુશ્કેલીમાં મુકાયા, ઇમરજન્સી વાહનો પણ ન પહોંચી શકતાં તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો
મોરબી : મોરબીમાં ભારે વરસાદ બાદ મેઘવીરામને એક દિવસ કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં છેવાડાના વિસ્તાર નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તાર ગોઠણસમાં પાણીમાં ગરકાવ થતા અને મનપાને રજુઆત કરવા છતાં મનપા કે કોર્પોરેટર જરૂરિયાતના સમયે પ્રજાની મદદે જ ન આવતા મનપાના સમગ્ર જડ વલણને પાપે મહિલાઓ સહિતના લોકોની ધીરજ ખૂટી હતી. લોકો રસ્તા ઉત્તર ઉતરી આવતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. લોકોએ મુખ્ય રસ્તા ઉપર ચક્કાજામ કરીને ઉગ્ર આક્રોશ ઠાલવતા મહિલાઓનો આક્રોશ જોઈને સમગ્ર તંત્ર ઘૂંટણીએ પડ્યું હતું અને તંત્રની તમામ ટિમો તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીના નિકાલની ખાતરી આપી સમજાવટથી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા છ દિવસથી ગોઠણસમા પાણી વચ્ચે જીવન ગુજારતા 200થી વધુ મકાનોના રહેવાસીઓનો રોષ આખરે રસ્તા પર ફાટી નીકળ્યો હતો. ઘરો, શેરીઓ, રસોડાં અને શૌચાલય સુધી ગંદુ પાણી ભરાઈ જતા રોજિંદી જિંદગી ખોરવાઈ ગઈ છે. બાળકો શાળાએ જઈ શકતા નથી તો રાશન-શાકભાજી લેવા બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોએ હૈયાવરાળ ઠાલવી હતી કે, તેમની શેરી કે ઘરોમાં ભરાયેલા પાણીમાં ઝેરી સાપ અને જીવજંતુઓ ઘરોમાં ઘૂસી રહ્યા છે. આવા સંજોગોમાં ઇમરજન્સી સમયે 108 કે અન્ય એમ્બ્યુલન્સ પણ અંદર સુધી પહોંચી શકતી નથી. તેથી ઇમરજન્સી દર્દીને હોસ્પિટલમાં કેમ પહોંચડવો, તેના જીવ ઉપર જોખમ થાય તો જવાબદાર કોણ ? તાજેતરમાં બીમાર બાળકને પરિવારજનોએ હાથમાં ઊંચકીને પાણીમાંથી બહાર લાવવાની ફરજ પડી હતી. દર ચોમાસે પાણી ભરાવવાની ગંભીર સ્થિતિ સર્જાતી હોવા છતાં કાયમી નિકાલની વ્યવસ્થા નહીં થતાં મહાનગરપાલિકા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ પાણી ઉતારવા તાત્કાલિક પંપ-જેસીબી મૂકવા તેમજ વિસ્તારનું યોગ્ય મેપિંગ અને લેવલિંગ કરીને ડ્રેનેજ-લેઆઉટનો કાયમી પ્લાન તૈયાર કરવાની માંગણી કરી છે.
રસ્તા પર લોકો ઉતરતા ટ્રાફિક પોલીસ તુરંત પહોંચી
પાણીનો નિકાલ નહીં થતાં મહિલાઓ અને સ્થાનિકોએ સેન્ટ મેરી ફાટક પાસે મોરબી-નવલખી મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. રેલવે ફાટક નજીકથી લોકોને હટાવવામાં આવ્યા બાદ તેઓ મોરબીના પ્રવેશદ્વાર પાસે ફરી રસ્તા પર બેસી ગયા હતા. ચક્કાજામના પગલે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી.
પોલીસ-તંત્રની ટીમો પહોંચી, પોલીસે સમજાવટ અને શાંતિથી ટ્રાફિક ક્લિયર કરાવ્યો
પોલીસ અધિક્ષકની સૂચના મુજબ શહેરમાં ટ્રાફિક સુચારુ રહે તે માટે ટ્રાફિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સેન્ટ મેરી ફાટક-નવલખી રોડ પાસે સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હોવાનું ધ્યાને આવતાં સ્થાનિક બી ડિવિઝન પોલીસ, મહાનગરપાલિકા અને મામલતદારને જાણ કરવામાં આવી હતી. તમામ ટીમો સ્થળ પર પહોંચતાં સ્થાનિકોએ પાણીના નિકાલ સહિતની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. ત્યારબાદ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક PSI ઠાકર સહિતની ટીમે ચક્કાજામના કારણે અટવાયેલા વાહનોને માર્ગ પરથી હટાવી માર્ગ ફરી શરૂ કરાવ્યો હતો. પોલીસની સમજાવટ બાદ તાત્કાલિક મામલો થાળે પડ્યો હતો.