Friday - May 01, 2026

મોરબીમાં મકાન ખાલી કરતા સમયે કબાટમાં થેલો ભુલાઈ જતા મકાન પાડવા આવેલ મજૂરો ચોરી કરી ગયા

મોરબીમાં મકાન ખાલી કરતા સમયે કબાટમાં થેલો ભુલાઈ જતા મકાન પાડવા આવેલ મજૂરો ચોરી કરી ગયા

મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ચોરીની વિચિત્ર ઘટનામાં ભાડાના મકાનના રહેતો પરિવાર મકાન ખાલી કરતા સમયે 13.40 લાખની રોકડ અને દાગીના ભરેલ થેલો કબાટમાં જ ભૂલી ગયા બાદ આ મકાન પાડવા આવેલ મજૂરો થેલો ચોરી કરી ગયા હોવાની સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં સતેશ્વર મહાદેવ મંદિર પાસે ભાડાના મકાનના રહેતા મૂળ પીપળીયા ગામના વતની હસમુખભાઈ લખમણભાઈ કોઠીયાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.26 ફેબ્રુઆરીના રોજ તેમનું ઘરનું મકાન તૈયાર થઈ જતા તેમની સામેના ભાગે આવેલ ભાડાનું મકાન ખાલી કર્યું હતું. આ સમયે ભાડાના મકાનમાં કબાટમાં રોકડા રૂ.3.20 લાખ તેમજ 14.7 તોલાના દાગીના સાથેનો થેલો જુના મકાનમાં જ રહી ગયો હતો. અને ઘરમાં ક્યાંય ન મળી આવ્યો હતો. બીજી તરફ તેમને ખાલી કરેલ ભાડાના મકાનના માલિકે પણ આ મકાન નવું બનાવવા માટે ભાડાના મકાનને પાડવા મજૂરો બોલાવ્યા હોય જે મજૂરો આ થેલો ચોરી કરી ગયાની શંકાએ ફરિયાદી હસમુખભાઈએ ચોરીના આ વિચિત્ર બનાવમાં સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.