મોરબી : હિન્દૂ શાસ્ત્રના મહાન ગ્રંથ ભાગવત ગીતામાં સમગ્ર માનવ જીવનનો સાર અને જીવનની દરેક આંટીઘૂંટીમાંથી બહાર આવીને કર્મના સિદ્ધાંતથી આદર્શ જીવન જીવવાનો ઉપદેશ ભગવાન શ્રીકૃષ્ણએ આપ્યો છે. ત્યારે નવી જનરેશન ભક્તિથી વિમુખ થયાની ટીકાઓને ટંકારામાં ભાગવત ગીતા સંદર્ભે યોજાયેલી સ્પર્ધાઓમાં નાના બાળકો અને યુવાનોએ ખોટી પાડી છે. જેમાં નાના બાળકોએ ભાગવત ગીતાના જટિલ શ્ર્લોકનું પઠન કરતા ભલભલા દંગ રહી ગયા હતા. યુવાનોએ પણ ગીતાજી પર ક્વીઝમાં ભાગ લઇ ઊંડું અંધ્યાત્મિક ચિંતન કર્યું હતું.
40માં પુસ્તક પરબ ટંકારા દ્વારા ગીતા મહોત્સવ અંતર્ગત સ્પર્ધાનું ભવ્ય આયોજન દરેક મહિનાના પ્રથમ રવિવારે યોજાતા પુસ્તક પરબમાં કરવામાં આવે છે. આ પુસ્તક પરબ ટંકારા દ્વારા આયોજિત ગીતા મહોત્સવ અંતર્ગત સ્પર્ધાનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં ટંકારાની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો તરુણો અને યુવાનોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભાગવત ગીતા કોર્ટમાં સોગંધ ખાવા માટે નહીં કોર્સમાં લાવવામાં આવેલ છે ત્યારે બાળકો, યુવાનો, તરુણો ગીતાના મર્મને સમજે જાણે એ હેતુથી પુસ્તક પરબ ટંકારા દ્વારા શ્લોક ગાન વક્તવ્ય અને ક્વિઝની સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં ઘણા બાળકોએ ગીતાના શ્લોકનું પઠન કર્યું હતું અને તરુણો દ્વારા ગીતાજી વિશે વક્તવ્ય રજૂ કરાયું હતું તેમજ યુવાનોએ ગીતાજી પર ક્વીઝમાં ભાગ લઇ પોતાનો વિચારો પ્રગટ કરેલા હતા જેમાં નિર્ણાયક ભાલોડીયા કેતનભાઇએ પોતાના જ્ઞાન દ્વારા પુસ્તક પરબ ટીમને મદદરૂપ થયા હતા અને પુસ્તક પરબ ટંકારા દ્વારા બાળકોને સુંદર ગિફ્ટ પણ આપવામાં આવી હતી.