Sunday - May 03, 2026

મોરબી પંથકમાં યમરાજાનો મુકામ, અલગ અલગ બનાવમાં પંચના અપમૃત્યુ

મોરબી પંથકમાં યમરાજાનો મુકામ, અલગ અલગ બનાવમાં પંચના અપમૃત્યુ

 મોરબી પંથકમાં એક દિવસમાં અલગ અલગ બનાવોમા પાંચ વ્યક્તિઓના મોત નિપજ્યા છે.આ અપમૃત્યુના અલગ અલગ પાંચ બનાવમાં ત્રણ યુવાનોએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું તો ગેસની નળી ફાટતા સગીરાનું અને બાથરૂમમાં પડી જતા પરિણીતાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા આ પાંચેય બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબીના નીચી માંડલ ગામે આવેલ નોકેન વિટરીફાઇડ કારખાનાના લેબર કવાટર્સમાં રહેતા વીરેન્દ્ર અતરસિંગ ચૌધરી ઉ.26 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો.મોરબીના રફાળેશ્વર ગામે મછોનગરમા રહેતા અને છેલ્લા પાંચેક વર્ષથી એકલું અટુલું જીવન જીવતા વિરમભાઈ દેવશીભાઈ વાંસફોડીયા ઉ.25 નામના યુવાને વીજ થાંભલા સાથે લટકી જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મોરબીના શોભેશ્વર રોડ ઉપર લેન્ડવુડ સિરામિક સામે લીમડાના ઝાડ ઉપર લટકી જઈ ગોપાલ સોહનભાઈ ધાસી ઉ.42 રહે.સિમ્પોલો સિરામિક, ઘુંટુ રોડ, મોરબી નામના યુવાને ગળેફાંસો ખાઈ લીધો હતો. મોરબી તાલુકાના પીપળી ગામે રહેતી મૂળ ઉત્તર પ્રદેશની વતની બબીતાદેવી અરવિંદકુમાર નામની પરિણીતા ગત તા.2 ઓક્ટોબરના રોજ બાથરૂમમાં પડી જતા સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલ ખાતે મૃત્યુ નીપજ્યું હતું. મોરબી તાલુકાના જુના જાંબુડિયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીમાં રસોઈ બનાવતી વખતે ગેસની લાઇન ફાટતા દેવાંશીબેન રામસિંગભાઈ રાઠવા ઉ.16 નામની સગીરાનું મૃત્યુ નિપજતા પાંચેય બનાવમાં મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.