Saturday - May 16, 2026

મોરબી પંથકમાં કાળચક્ર ફરી વળ્યું, અલગ અલગ બનાવમાં ચારના મોત

મોરબી પંથકમાં કાળચક્ર ફરી વળ્યું, અલગ અલગ બનાવમાં ચારના મોત

બેલા નજીક દીવાલ પડતા યુવકનું મોત, ઝેરી દવા પી લઈ લાભનગરના યુવાને જિંદગી ટૂંકાવી, મકનસર નજીક ઉલટી થતા વાંકાનેરના આધેડનું મોત

મોરબી : મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે અપમૃત્યુના અલગ અલગ ચાર બનાવ બન્યા હતા. જેમાં બેલા નજીક કારખાનાની દિવાલ પડવાથી યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. લાભનગરના યુવાને ઝેરી દવા પી મોત વ્હાલું કર્યું હતું, મકનસર નજીક વાંકાનેરના આધેડનું ચાલુ રીક્ષાએ ઉલટી થતા મૃત્યુ નીપજ્યું હતું. તેમજ અન્ય બે બનાવમાં પણ અપમૃત્યુના બે બનાવ બન્યા હતા.

પ્રથમ બનાવમાં મોરબીના લાભનગરમા રહેતા મુન્નાભાઈ ઉર્ફે મનસુખભાઇ વાલજીભાઈ કગથરા ઉ.37 નામના યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં મકનસર નજીક અમરવન હરજીવન ગૌસ્વામી ઉ.54ને ચાલુ રીક્ષાએ ઊલટીઓ થયા મૃત્યુ નીપજ્યું હતું. ત્રીજા બનાવમા બેલા ગામની સીમમાં આવેલ વિનાયક મિનરલમા દીવાલ પડતા ઇજાઓ થતા પપ્પુભાઈ ફુલસિંગ બારૈયા ઉ.35 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે ચોથા બનાવના મોરબીના ઉટબેટ શામપર ગામે વિશાલભાઈ શાંતિભાઈ બદરકિયા ઉ.28 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.ચારેય બનાવના પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.