Friday - Apr 17, 2026

વાંકાનેરના વસુંધરા ગામે નદીમા ડૂબી જવાથી બાળકીનું કરુણ મોત

વાંકાનેરના વસુંધરા ગામે નદીમા ડૂબી જવાથી બાળકીનું કરુણ મોત

ભેંસોને નદીમાં પાણી પીવડાવતી વખતે પગ લપસી જતા બનેલી ઘટના

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે સર્જાયેલ એક કરુણ ઘટનામાં ભેંસોને નદીએ પાણી પીવડાવવા લઈ ગયેલ 11 વર્ષીય બાળકીનો પગ લપસી જતા નદીના ઊંડા પાણીમાં ગરક થઈ જતા બાળકીનું મૃત્યુ નિપજતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે રહેતા માનસીબેન જગદીશભાઇ હાડગરડા ઉ.11 નામની બાળકી ગઈકાલે તા.15ના રોજ સવારે ગામના પાધરમાં આવેલ બૈનેયો નદીમાં પોતાની ભેંસોને લઈ પાણી પીવડાવવા માટે ગઈ હતી ત્યારે અચાનક પગ લપસી જતા માનસીબેન ઊંડા પાણીમાં ગરક થઈ જતા પાણીમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે ભરતભાઇ નાથાભાઇ હાડગરડાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.