ડીડીઓએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા ચા કે કોફી પણ નહીં પીવે તેવો સંકલ્પ લીધો
મોરબી : અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા આજે ઉમા વિદ્યા સંકુલ (ઉમા ટાઉનશિપ ) ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો .
જેમાં મોરબી જિલ્લા DDO જે. એસ. પ્રજાપતિ તેમજ DDO શૈલેષભાઈ ભટ્ટ તથા ગાયત્રી પરિવાર મોરબી તરફથી અનિલભાઈ વીઠલાપરા, ગડારા પાર્થભાઈ, ગડારા વાત્સલ્યભાઈ હાજર રહી બાળકોને વ્યસન ના કરવું અને બીજાંને વ્યસન મુક્ત કરવા માટેના શપથ લેવડાવ્યા હતા તેમજ બાળકોને વ્યસન મુક્તિ તેમજ વિધાર્થી જીવનમાં તેમને શું કરવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્ય ક્રમને સફળ બનાવવા શાળાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા અને અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓનો ખૂબ સારો સહકાર મળ્યો હતો. તેમજ કાર્યક્રમના અંતમાં DDO પ્રજાપતિ પોતે વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની બીજું કોઈ વ્યસન તો ન હોવાની સાથે આજથી ચા કે કોફી પણ નહીં પીવે તેવો તેમણે સંકલ્પ લીધો હતો.. જેનાથી વિદ્યાર્થીઓમાં પણ નાનામાં નાના વ્યસન પણ નહીં કરવાની પ્રેરણા મળી હતી.