વિકાસ કામોનો શુભારંભ બગાવડી ખાતે આવેલા વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે કરાયો
મોરબી : ટંકારા તાલુકાના વીરપર ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસને નવી દિશા આપતા આશરે રૂ.૮૦ લાખના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ હતી કે, આ વિકાસ કામોનું શુભારંભ બગાવડી ખાતે આવેલા વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના પવિત્ર અને પ્રેરણાદાયી હસ્તે કરવામાં આવ્યું હતું, જેણે સમાજમાં સકારાત્મક સંદેશ આપ્યો છે.
મુખ્ય વિકાસ કાર્યોમાં વીરપર ગ્રામ પંચાયત હસ્તક ગામની માળખાગત સુવિધાઓમાં વધારો થાય તેવા મહત્ત્વના કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું છે, જેમાં મુખ્યત્વે પેવર બ્લોક નાંખવાના કામો સી.સી. રોડ (કોન્ક્રીટ રોડ) બનાવવાનું કાર્ય કમ્પાઉન્ડ વોલના બાંધકામ જેવા કામોનો સમાવેશ થાય છે. આ વિકાસ કામો પૂર્ણ થતાં વીરપર ગામની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે અને ગ્રામજનોનું જીવનધોરણ સુધરશે. ઉત્સાહભેર ઉપસ્થિતિ
આ શુભ પ્રસંગે વીરપર ગામના સરપંચ મહેશભાઈ લીખિયા, ઉપસરપંચ, તમામ પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ગામના સર્વાંગી વિકાસ પ્રત્યેની તેમની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી અને અનાથ આશ્રમના બાળકોના હસ્તે થયેલા આ શુભારંભને આવકાર્યો હતો.