Saturday - May 16, 2026

મોરબીમાં હવે એસટી પ્રશ્ને વિધાર્થીઓ પણ રસ્તા ઉપર ઉતર્યા : મહેન્દ્રનગરમાં ચક્કાજામ

મોરબીમાં હવે એસટી પ્રશ્ને વિધાર્થીઓ પણ રસ્તા ઉપર ઉતર્યા : મહેન્દ્રનગરમાં ચક્કાજામ

મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં એસટી બસના પ્રશ્ને વિદ્યાર્થીઓએ સવારે 7 વાગ્યાથી ચક્કાજામ કર્યો છે. જ્યાં સુધી મોરબી બસ સ્ટેન્ડ સુધીની સ્પેશિયલ બસ મુકવામાં નહિ આવે ત્યાં સુધી ચક્કાજામ નહિ હટાવવાનો વિદ્યાર્થીઓએ નીર્ધાર જાહેર કર્યો છે.

વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર મહેન્દ્રનગર ગામે એસટી બસો અનિયમિત આવે છે. જયારે રજુઆત કરીએ છીએ ત્યારે 2થી 3 દિવસ બસ આવે છે. પછી બંધ થઈ જાય છે. ઉપરથી આવતી બીજી બસોમાં ચડવા દેવામાં આવતા નથી. કન્યા છાત્રાલય સહિતના સંકુલોમાં અભ્યાસ કરતા અંદાજે 80 વિદ્યાર્થીઓ અહીંથી દરરોજ બસમાં અપ ડાઉન કરે છે. આ સમસ્યાને કારણે આજે પ્રભુકૃપા ટાઉનશિપ પાસે અપડાઉન કરતા તમામ વિદ્યાર્થીઓએ સવારે 7 વાગ્યાથી ચક્કાજામ કર્યો છે.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓએ ધારાસભ્યને ફોન કર્યો પણ તેઓએ એમ કહ્યું કે હું અત્યારે આવી શકું તેમ નથી. આવીને પ્રશ્ન સોલ્વ કરીશ. અત્યારે જે કરવું હોય તે કરો. જ્યારે ડેપો મેનેજરે એમ કહ્યું કે હું જોઈ લવ છું. બીજી તરફ વિદ્યાર્થીઓએ એવું જાહેર કર્યું છે કે જ્યાં સુધી મોરબી સુધીની બસ નહિ મુકાય ત્યાં સુધી ચક્કાજામ હટાવાશે નહિ.