મોરબી તાલુકાનું સૌથી શ્રીમંત ગામ તરીકે ઓળખાતું અને મોરબી સીટીની જ દીવાલને અડી આવેલ રવાપર ગામમાં એક મહિનાથી પાણીની એવી કારમી અછત સર્જાઈ કે આ ગામના 24 એપાર્ટમેન્ટમાં રહેતા આશરે 2 હજારથી વધુ લોકો કાળઝાળ થયા છે. મોટાભાગના સીરામીક બીઝનેસ સાથે જોડાયેલા અને ટાઇલ્સનું 24 કલાક ઉત્પાદન થતું હોવાથી લોકોને આ કામમાં ફુરસદ મળતી જ હોય પણ ઘરે રોજ પાણીની રામાયણ કેડો મૂકતી ન હોવાથી પાણી પાછળ જોતરાવું પડતું હોય અને પ્રમુખ રેસીડેન્સી હેઠળના 24 એપાર્ટમેન્ટના 2 હજારથી વધુ લોકોને પાણીના ટેન્કરો મંગાવવા પડતા હોય અને મહિને પાણી પાછળ 20 લાખનો ખર્ચ કરવા છતાં પાણીની પ્યાસ ન બુઝાતા અંતે આજે આ મહિલાઓ સહિતના લોકો મોટી સંખ્યામાં ધારાસભ્ય દુર્લભજી દેથરીયાના કાર્યાલય અને રવાપર ગ્રામ પંચાયતમાં મોરચો ખોલ્યો હતો છતાં યોગ્ય જવાબ ન મળતા જિલ્લા કલેકટર કચેરીને ઘેરાવ કર્યો હતો. કલેકટર સમક્ષ રહીશોએ આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે, પાણી માત્ર દોઢ થી બે કલાક પાણી આવતું હોય પણ ખૂબ જ અપૂરતું હોવાથી પાણી બધે પહોંચતું જ નથી. આથી મહિલાઓ પાણી આપોની નારેબાજી સાથે કલેકટર કચેરીમાં કકળાટ કરી મુક્યો હતો.
સરપંચ અને પાણીના ભુમાફિયા સામે સાંઠગાંઠની આશંકા
સ્થાનિક રહીશોએ ગ્રામ પંચાયતના અને પાણીના ટેન્કર વેચાતા આપતા પાણીના ભુમાફિયાઓ વચ્ચે સાંઠગાંઠ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. જેમાં ગ્રામ પંચાયતમાં લોકો બધો જ વેરો ભરે છે. તો લોકોને પાણીની પૂરતી સુવિધા આપવાની ગ્રામ પંચાયતની જવાબદારી છે. પણ એ જવાબદારીમાંથી છટકી ગયું છે. મહાનગરપાલિકા હમણાં આવી જવાની હોય ત્યારે હાથમાંથી સતા જાય એ પહેલાં ગ્રામ પંચાયત પૈસા બનાવવા માટે લોકોની મૂળભૂત જરૂરિયાત પાણી ઉપર તરાપ મારે છે. જો કે ગ્રામ પંચાયત મચ્છુ ડેમમાંથી પાણી પૂરું પાડતું હોય પણ હમણાંથી દરવાજા રિપેરીગ માટે ડેમ ખાલી કર્યો હોય એટલે પાણી તંગી હોય તો અમે જે રહીશો પાણીના ટેન્કર મંગાવી છીએ તો એ પાણી ક્યાંથી આવે છે ? પાણી આ ડેમ કે તળાવમાંથી પાણીના ટેન્કર ભરતા હોય ગ્રામ પંચાયત કેમ ત્યાંથી પાણી આપતું નથી ? એનો સીધો જ મતબલ છે કે સરપચ પાણી વેંચતા માફિયા સાથે મળી પાણીની કુત્રિમ અછત ઉભી કરી પાણી અમને જ વેચી પોતાની તિજોરી ભરી રહ્યા હોવાનો નયનભાઈ મારવણીયાએ આક્ષેપ કર્યો હતો.
પાણી એક કલાક જ મળશે તેવી જોહુકમી
સ્થાનિક રહીશ તુષારભાઈ એ જણાવ્યું હતું કે,રવાપર ગ્રામ પંચાયતના શાસકો રીતસરની જો હુકમી ચલાવે છે. લાઈટ અને પાણી લાઈન ગ્રામ પંચાયતે નાખવાની હોય પણ અમે ફ્લેટ દીઠ જાતે જ પૈસા ઉઘરાવી લાઈટ અને પાણીની લાઈન નાખી દેતા તેના 2 લાખ પણ અમને આપ્યા નથી. ગ્રામ પંચાયત બજેટ આવશે એટલે ત્યારે પૈસા આપવાનું કહે છે. પણ છ મહિનાથી બજેટ આવ્યું જ નથી. લાઈન નાખીને અમે પાણી આપવાનું કહીએ તો ગ્રામ પંચાયત દાદાગીરી કરીને એક કલાક જ પાણી મળશે તેવું કહીને ધાક બેસાડી દીધી છે.
ભૂતિયા નળ કનેક્શનો દૂર કરાશે :
જિલ્લા કલેકટર કિરણ ઝવેરીએ કહ્યું હતું કે, રવાપરનો જે પાણી પ્રશ્ન છે. તેમાં મચ્છુ ડેમના દરવાજા રિપેરીગ થતા હોવાથી 24 કલાકને બદલે 36 કલાકે પાણી વિતરણ થતું હોય અને ઓછા ફોર્સથી પાણી આવતું હોય હવે પૂરતું પાણી મળી રહે તેવા પ્રયાસો કરવા અને રવાપર ગામમાં જે ભૂતિયા કનેક્શનો દૂર કરવાની જે તે અધિકારીને સૂચના આપી દીધી છે.
ત્રણ દિવસમાં પાણી પ્રશ્ન ઉકેલાય જવાની ખાતરી
સ્થાનિક રહીશ પ્રવિણભાઈએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતની આડોડાઈને લીધે પાણી આવતું ન હોય વેચાતું પાણી લેવા મજબુર થતા આજે કલેકટરને રજુઆત કરતા કલેકટરે ત્રણ દિવસમાં પાણી પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હોય પણ ત્રણ દિવસમાં પાણી નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી આપી છે.
દુર્લભજીભાઈના કાર્યાલયેથી ઉડાવ જવાબ મળ્યો
પ્રમુખ રેસિડેન્સીમાં રહેતા વીણાબેન ઉભડીયાએ જણાવ્યું હતું કે, પાણી એક મહિનાથી એક ટીપુંય ન આવતા પ્રાથમિક જરૂરિયાતો પુરી કરવા પોસાય તેમ ન હોવા છતાં પાણીના ટેન્કર મંગાવવા પડે છે. આજે પાણી આવશે એવી આશા સાથે આખી રાત ઉજાગરા કરવા છતાં પાણીના દર્શન દુર્લભ થયા છે. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના કાર્યાલયે રજુઆત કરવા ગયા હતા પણ ત્યાંથી પાણી એક જ કલાક આવશે તેવો અહંકારભર્યો જવાબ મળ્યો છે. આ એક કલાક પાણીનું વિતરણ કરાતું હોવાના ગ્રામ પંચાયતના દાવામાં કોઈ દમ નથી. કારણ કે પાણીની એક એક બુંદ માટે તરસીએ છીએ.
નવી બનતી બિલ્ડિંગમાં પાણી કેવી રીતે પહોંચે છે ?
સુનિલભાઈ એ જણાવ્યું હતું કે, અમારી સામે નવી બનતી બિલ્ડિંગમાં કોઈ પાણીના ટેન્કર આવતાં નથી તો ત્યાં પાણી ક્યાંથી આવે છે. આ બિલ્ડીંગમાં પાણી વિના બાંધકામ કંઈ રીતે થાય એ ને પણ પાણીની જરૂરત હોય છે. એટલે એને પાણી મળે અને અમને પાણી વિના તરસ્યા રાખે છે.અત્યાર સુધી 20-25 લાખના ટેન્કરો ઠલવાય ગયા છે. બધા માણસો સુખી સંપન્ન હોતા નથી. એટલે બધા ય લોકોને એવો ટેન્કરનો ખર્ચ નો પરવડે.
વેરો ભરતા હોય સરપંચે કા પાણી આપે અથવા ટેન્કરનું ભાડું આપે
ભાવેશભાઈ એ જણાવ્યું હતું કે એક મહિનાથી પાણી હોળી સળગી રહી છે. છતાંય ગ્રામ પંચાયત પાણી પૂરું પાડતી નથી. અમે નિયમિત પાણી વેરો ભરતા હોય એટલે ગ્રામ પંચાયતને અમને પાણી આપવાની ફરજ છે. એટલે સરપંચ પાણી આપે અથવા ટેન્કરનું ભાડું આપે.