મોરબીમાં જન્માષ્ટમીએ અતિ ભારે વરસાદ પડ્યો હતો.આથી આ ભારે વરસાદથી શહેરના મોટાભાગના રોડ રસ્તા ધોવાય ગયા હતા. ત્યારે હવે રવિવારે ફરી ભારે વરસાદ પડતાં રોડ રસ્તાની સાથે તંત્રની રહી સહી આબરુનું ધોવાણ થયું થયું હતું. કમરના મણકા ખસી જાય તેવી ખરાબ માર્ગોની હાલત થઈ ગઈ છે. જો કે જન્માષ્ટમીએ વરસાદ પડ્યો ત્યારે રસ્તાઓ ખરાબ હતા જ હવે વધુ વરસાદ પડતાં થોડા ઘણા સારા બચેલા માર્ગોની બદતર હાલત થઈ ગઈ છે.મોરબીના સામાંકાંઠામાં એલઇ કોલેજ રોડ અને નટરાજથી સોઓરડી, પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફીસનો રસ્તો ખૂબ ભંગાર હાલતમાં છે. ઠેરઠેર ગાબડા પડી ગયા છે.આ રસ્તા ઉપર વાહનો ઉચક નીચક ચાકતા જોવા મળે છે. ખાડાને કારણે યોગ્ય રીતે થોડી સ્પીડમાં પણ વાહન ચલાવી શકાતા નથી.તેંમજ શનાળા રોડ,ગાંધી ચોકનો તખ્તસિંહજી રોડ, પેટ્રોલ પંપથી મચ્છી પીઠનો રસ્તો,નહેરુ ગેઇટથી જુના બસ સ્ટેન્ડ તરફનો રસ્તો સાહિતના રસ્તામાં મસમોટા ભુવા પડી ગયા છે.જ્યારે સ્ટેશન રોડની સૌથી વધુ કપરી હાલત થઈ ગઈ છે.અહીંના વેપારીઓએ જણાવ્યું હતું કે, સ્ટેશન રોડ મુખ્ય માર્ગ છે.એસટી બસો, સ્કૂલ બસ-રીક્ષાઓ સહિતના મોટા વાહનો સ્ટેશન રોડ ઉપરથી પસાર થાય છે. પણ સ્ટેશન રોડ ઉપર ઠેરઠેર ખાડાથી ભયજનક બની ગયી છે.આથી અકસ્માતનું જોખમ તોળાય રહ્યું છે. દોઢ વર્ષથી આ રોડ મંજુર થઈ ગયાનો તંત્ર લોલીપોપ આપે છે. પણ નવો માર્ગ બનતો નથી. આ રોડ એટલો બધો ખરાબ થઈ ગયો છે કે સ્કૂલ વાહનોના અકસ્માત થાય છે. અનેક રજુઆત કરી હોવા છતાં રોડ નવો બનતો નથી. તેથી ખરાબ રોડથી મોટો અકસ્માત થશે તો જવાબદારી કોની ? તેવો સવાલ વેપારીઓએ ઉઠાવ્યો હતો.